કનકપુર-કનસાડ નગર પાલિકાએ રાજમાર્ગ, COP અને પાર્કિંગની જગ્યા પર ગેરકાયદેસર બાંધકામને વગર BUC એ આકારણી પણ કરી આપી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની 25 વર્ષ જુની યોજનાની પ્રાથમિક સુવિધવાળા પ્લોટ પર 300 કરોડના ખર્ચે બંધાયેલા મુખ્યમંત્રી આવાસ યોજના પણ ગેરકાયદે હોવાનું બહાર આવ્યુ છે. તો બીજી બાજુ બિલ્ડરોએ પણ રાજમાર્ગ અને સ્લમ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા કોમન પ્લોટની જગ્યા પર દબાણ કરી બિલ્ડીંગ બાંધી દીધા હોવાનું RTI માં બહાર આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે ગેરકાયદે બાંધકામને સુડાએ પણ BUC આપી દીધું હોવાનું અને નગર પાલિકાએ આકારણી કરી આપી હોવાનું બહાર આવતા અનેક પ્રશ્નો ઉભા થાય છે.
સુરત જિલ્લા કોંગ્રેસના ખજાનચી મનોજસિંહ પરમારે જણાવ્યું હતું કે, કનકપુર-કનસાડ નગર પાલિકા ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ હોય એમ કહી શકાય છે. હાલ તાજેતરમાં વર્ષ 2018માં લોકોને ફળવાયેલા મુખ્ય મંત્રી આવાસો ગુજરાત હાઉસિંગ બોર્ડની 25 વર્ષ જૂની યોજનાના માધ્યમિક શાળા, થિયેટર અને કોમર્શિયલ પ્લોટ પર બનાવી દેવાયા છે. મુખ્યમંત્રી આવાસ યોજનામાં સુડા દ્વારા મંજુર નકશામાં હાઇરાઈઝ બિલ્ડિંગની સામે 7.5 મીટરની પહોળાઈનું પાર્કિંગ, 20 મીટર પહોળા રાજમાર્ગ પછી બતાવવામાં આવ્યું છે. પરંતુ સ્થળ પર આવાસ યોજનાના બિલ્ડીંગ રાજમાર્ગને અડીને તરત જ પાર્કિંગની જગ્યા પર બનાવી દેવાયા છે. જોકે આ તમામ આવાસના 90 ટકા મકાનો ખાલી હોવાનું અને વેચાયેલા મકાનો પૈકી 40 ટકા મકાનો જે તે માલિકે નિયમો બહાર જઇ ભાડે આપી દીધા હોવાનું બહાર આવ્યું છે.
દિપક બાગુલે વધુમાં ઉમેર્યું હતું કે, નગર પાલિકાના હોદેદારો ખાનગી બિલ્ડરો સાથે બેસી ગયા હોય એમ રાજમાર્ગની અને સ્લમ બોર્ડ દ્વારા નગર પાલિકાને વિકાસ માટે ફળવાયેલા કોમન પ્લોટની જગ્યા પર પણ બાંધકામ કરવાની પરવાનગી આપી છે. રાજમાર્ગ પર 2920 ચોરસ મીટરના પ્લોટ પર થયેલા બાંધકામ અને રાજમાગ પર થયેલા બાંધકામની વગર BUC એ આકારણી પણ કરી આપી છે. આ બાબતે મુખ્ય મંત્રી અને વિરોધ પક્ષના નેતાને થયેલી ફરિયાદ બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગાંધીનગરના કમિશનર પણ ચોંકી ગયા હોય એમ કહી શકાય છે. આ બાબતે તાત્કાલિક રિપોર્ટ આપવા પણ સીએમ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.