સુરતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો પાંચ હજારની સંખ્યા વટાવી ગયો છે. શહેરમાં ગુરુવારે વધુ 191 પોઝિટિવ કેસ (Positive Case) નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા 5084 પર પહોંચી ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે. શહેરમાં કુલ મોતનો આંક 190 પર પહોંચ્યો છે. જે 3 લોકોના મોત થયા છે તેમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ગુરુવારે શહેરમાં સૌથી વધુ કેસ કતારગામ વિસ્તારમાં જોવા મળ્યા હતા. કતારગામમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા હતા. વરાછા-એ ઝોન માં પણ પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જઈ રહી છે. ગુરુવારે અહીં 41 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
શહેરમાં કોરોનાના વધી રહેલા આંકડાને કારણે રાજ્ય સરકારની ચિંતા પણ સતત વધી રહી છે. ત્યારે કોવિડ હોસ્પિટલમાં (Covid Hoapital) માળ વધારવા અને શહેરની વાડીઓમાં અસ્થાયી ધોરણે કોવિડ સેન્ટર્સ ઉભા કરવાની આરોગ્ય સચિવ દ્વારા સૂચના અપાઈ છે. શહેરમાં અત્યારસુધીમાં કુલ 5084 પોઝિટિવ કેસ(Positive Case) નોંધાઈ ચુક્યા છે. તેમજ વધુ 3 મોત સાથે કુલ મૃત્યુઆંક 190 પર પહોંચ્યો છે.
શહેરમાં ગુરુવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં સેન્ટ્રલ ઝોનમાં 19, વરાછા-એ ઝોનમાં 41, વરાછા-બી ઝોનમાં 24, રાંદેરમાં ઝોનમાં 19, કતારગામ ઝોનમાં 47, લિંબાયત ઝોનમાં 13, ઉધના ઝોનમાં 11 અને અઠવા ઝોનમાં 17 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તેમજ વધુ 133 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. અને અત્યારસુધીમાં કુલ 3215 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.
શહેરમાં જે 3 લોકોના કોરોનાને કારણે મૃત્યું નોંધાયા હતા તેમાં વરાછા-બી ઝોન પૂણા ગામ ખાતે રહેતા 61 વર્ષીય સ્ત્રી, કતારગામના 53 વર્ષીય પુરુષ અને ઉધના ઝોનના 72 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.