શહેરમાં લોકડાઉન (Lockdown) દરમિયાન કોરોનાનું સંક્રમણ ખુબ જ ઓછું હતું. મે માસ સુધીમાં શહેરમાં માત્ર 1597 પોઝિટિવ દર્દી હતા. પરંતુ 1 જૂનથી અનલોક 1.0 લાગુ થતા ધંધા-રોજગાર ધીરે ધીરે શરૂ થયા હતા અને શહેરમાં કોરોનાનું સંક્રમણ પણ વધવા લાગ્યું હતું. જૂન માસમાં અનલોક (Unlock) થયા બાદ એક જ માસમાં 3116 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને 31 જુન સુધીમાં શહેરમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક લગભગ 5000 નજીક પહોંચી ગયો હતો. ત્યારબાદ સતત સંક્રમણ વધતું જ રહ્યું છે. હાલમાં શહેરમાં પોઝિટિવ દર્દીનો કુલ આંક 18,000ને પાર કરી ગયો છે.
અનલોક બાદ ધંધા-રોજગાર શરૂ થતા યુવાવર્ગમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શહેરમાં છેલ્લા 10 દિવસમાં કરવામાં આવેલા રેપિડ એન્ટિજન ટેસ્ટ તેમજ આરટી-પીસીઆર ટેસ્ટના આંકડા મુજબ સૌથી વધુ 21 થી 40 વય જૂથના લોકોમાં જોવા મળ્યું છે. કુલ 42.5 ટકા પોઝિટિવ દર્દી 21 થી 40 વય જૂથના લોકો છે. જો કે એક ચોંકાવનારી વિગત એવી પણ બહાર આવી રહી છે કે છેલ્લા 10 દિવસમાં જે કોરોનાના જે દર્દીઓ નોંધાયા તેમાં બાળકો અને ટીનએજ તેમજ તરૂણોમાં કોરોનાનું સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે.
સુરત મનપા (Surat Municipal Corporation) પાસે ઉપલબ્ધ આંકડાઓ મુજબ કોરોનાકાળ એટલે કે 17 માર્ચથી 14 સપ્ટેમ્બર સુધીનો કુલ રેશિયો જોઇએ તો તેમાં 0 થી 11 વર્ષના બાળકોમાં કોરોનાનો રેશિયો 1.42 ટકા થાય છે. પરંતુ છેલ્લા 10 દિવસમાં 10 વર્ષ સુધીના બાળકો પોઝિટિવ આવવાનો રેશિયો 3.7 ટકા એટલે કે ડબલ થઇ ગયો છે. જયારે તરૂણ એટલે કે 11થી 20 વર્ષની વય જુથમાં કોરોનાકાળનો કુલ રેશિયો 4.63 ટકા રહ્યો છે પરંતુ છેલ્લા 10 દિવસના ટેસ્ટિંગમાં આ વય જુથનો આંકડો પણ 10.4 ટકા થઇ ગયો છે. જે પણ ડબલથી વધુ છે.
કોરોનાથી સાજા થયેલા બાળકોમાં એમઆઇએસસીનું જોખમ
શહેરના તબીબોના મતે પણ કોરોનાનું સંક્રમણ બાળકોમાં વધી રહ્યું છે તો કોરોના થઇ ચૂકયો હોય અને સાજા થઇ ગયા હોય એવા બાળકોમાં એમઆઇએસસી (મલ્ટિ સીસ્ટમ ઈન્ફ્લેમેટરી સીન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન) દેખાવાનું પ્રમાણ પણ મોટું છે. એમઆઇએસસીની અસર થાય તેવા બાળકોને આંખ લાલ થવી, ચાંઠા પડવા, ઝીણો-ઝીણો તાવ આવવો વિગેરે લક્ષણો દેખાય છે. તેના કારણે પણ તબીબી જગત ચિંતામાં છે. કેમકે કોરોના થઇ ચૂકયો હોય તેવા બાળકોમાં આ પ્રમાણ વ્યાપક રીતે જોવા મળી રહ્યું છે.
- છેલ્લા 10 દિવસમાં થયેલા ટેસ્ટમાં કયા વયજુથમાં કેટલું સંક્રમણ?
વયજુથ પોઝિટિવ દર્દીની ટકાવારી - 0-10 3.7
- 11-20 10.4
- 21-40 42.5
- 41-60 32.3
- 60 થી વધુ 11
પુરૂષોમાં સંક્રમણ વધુ નોંધાયું
સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને નાથવા માટે વધુમાં વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી સંક્રમણને વધતું રોકી શકાય. જે માટે હવે વધુમાં વધુ રેપિડ એન્ટિજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે આરટીપીસીઆર ટેસ્ટિંગની કામગીરી પણ ચાલુ જ છે. છેલ્લા 10 દિવસમાં સુરત મનપા દ્વારા કરવામાં આવેલા રેપિડ તેમજ આરટી-પીસીઆર ટેસ્ટમાં વધુ સંક્રમણ પુરૂષોમાં નોંધાયું હતું. શહેરમાં છેલ્લા 10 દિવસના ટેસ્ટિંગ પ્રમાણે 62 ટકા પુરૂષો તેમજ 38 ટકા મહિલાઓ પોઝિટિવ નોંધાઈ હતી.