સમગ્ર શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પાલ-પાલનપોર, રાંદેર તેમજ અડાજણ વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના પગલે મનપા કમિશનર, મનપા અધિકારી, તેમજ ખાસ ફરજ પર હાજર આર.જે.માકડિયા અને સ્થાનિક નગરસેવકોએ પાલ વિસ્તારના સોસાયટીના પ્રમુખો સાથે પાલ કોમ્યુનિટી હોલ ખાતે મીટિંગ કરી હતી અને સંક્રમણનો ફેલાવો કઈ રીતે અટકાવી શકાય તે અંગેની સમજણ આપી હતી. આ બેઠકમાં ફરી લોકડાઉન થવું જોઈએ તેવી લોકોએ માંગણી કરી હતી.
જે અંગે મનપા કમિશનરે સ્થાનિકોને સ્વયં શિસ્ત પાળવા માટે અપીલ કરી હતી. તેમજ રાંદેર ઝોનમાં આવેલા મોરા ભાગળ ખાતે એચ.ટી.એમ.એસ. બેટાવાળા કોવિડ કેર આઈસોલેશન સેન્ટર અને પાલનપુર કેનાલ રોડ ખાતે આવેલી દત્તાત્રેય સોસાયટીમાં ક્લસ્ટરની કામગીરીનું નિરીક્ષણ તથા નૂતન રો-હાઉસમાં સુરત મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરી હતી.
રાંદેર ઝોનના પાલ-પાલનપોર અને અડાજણ વિસ્તારમાં હાલ કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. રાંદેર ઝોનમાં છેલ્લા બે દિવસમાં 80થી વધુ કેસ નોંધાયા છે. આ વિસ્તાર સંપીર્ણ રહેણાક હોવાના કારણે સંક્રમણની ઝડપ વધી રહી હોવાથી આજે મ્યુનિ. કમિશનર બંચ્છાનિધિ પાનીએ આ બેઠક કરી હતી. જેમાં સોસાયટી પ્રમુખોને જણાવ્યું હતું કે, માત્ર ખાંસી, શરદી તાવના ઈલાજમાં ત્રણ-ચાર દિવસનો સમય પસાર કરીશું તો ઘણું મોડું થઈ શકે અને સીધા વેન્ટિલેટર પર જવાનો વારો આવી શકે છે.
જો તમારી આસપાસ જે લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે તે ક્વોરન્ટાઈનનો ભંગ કરતાં હોય તો તાત્કાલિક મ્યુનિ. કે પોલીસને જાણ કરી દેવી પડશે. જેઓ સોશિયલ ડિસ્ટન્સ નથી રાખતા તેઓ કોરોના સામેના યુદ્ધમાં દુશ્મનને સાથ આપી રહ્યા છે.