પ્રેમ આંધળો હોય છે. એ કહેવતને સાચી પુરવાર બીલીમોરામાં બનેલી આ ઘટનાથી થાય છે. નવસારી જિલ્લામાં આવેલા બીલીમોરા નજીક અમલસાડ, સરીબુજરંગના હળપતિ સમાજના બે પરિણીત પ્રેમીઓએ તેમના પ્રેમસંબંધને સમાજ સ્વીકારશે નહીં એમ લાગતા મંગળવારે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અમલસાડ સરીબુજરંગના સુદામાનગરમાં રહેતા અને સચિન નોકરી કરતો 25 વર્ષીય રણજિત જગુ હળપતિ અને તેજ ફળિયામાં રહેતી અને ઘરકામ કરતી પરિણીતા શીલાબેન હેમંતભાઇ હળપતિ વચ્ચે દસેક માસથી પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને પરિણીત હતા અને તેમાં રણજિતને એક પાંચ વર્ષનો છોકરો અને એક ત્રણ વર્ષની છોકરી છે. તેમજ શીલાબેને બે પુત્રોમાં એક ત્રણ વર્ષનો અને એક દોઢ વર્ષનો છે.
તેમના પ્રેમ સંબંધની જાણ થતાં સમાજના મોભી સમક્ષ મામલો ગયો હતો. તેઓએ બંનેના પરિવારો વચ્ચે એકબીજાને મળવું નહીં તે અંગે સમાધાન કરાવ્યું હતું. પરંતુ તે બંનેએ પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યો હતો. તેઓના પ્રેમસંબંધને સમાજ સ્વીકારશે નહીં એવો ડર હતો. જેથી બંનેએ સાથે ફાની દુનિયા છોડી કાયમ માટે એક થઇ જવા નિર્ણય કર્યો હતો.