મહારાષ્ટ્રના દહાણું ખાતેથી મહાલક્ષ્મી માતાજીના દર્શનેથી પરત ફરતા સુરતના છ શ્રધ્ધાળુંઓનાં નવસારી પાસે અકસ્માતમાં મોત થયા છે. મૃતકોમાં પાંચ મહિલાઓ અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. નવસારી પાસે રસ્તા પર ઉભા રહેલા ટેમ્પો ટ્રાવેલરને ટ્રકે પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી પ્રમાણે સુરતનું મહિલા મંડળ ચૈત્રી નવરાત્રીમાં મહારાષ્ટ્રના દહાણું ખાતે આવેલા મહાલક્ષ્મી માતાજીના દર્શને ગયું હતું. આ દરમિયાન નવસારી પાસે તેમની ટેમ્પો ટ્રાવેલરને પંક્ચર પડ્યું હતું. ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવરે વાહન રસ્તાની બાજુમાં ઉભું રાખતા અંદર બેઠેલી મહિલાઓ નીચે ઉતરી હતી.
મ્પો ટ્રાવેલર રસ્તાની બાજુમાં ઉભી હતી ત્યારે જ પૂરપાટ ઝડપે આવેલા એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો ટ્રાવેલર રેલિંગની બાજુમાં ઉભેલી મહિલાઓ પર પડી હતી. ટેમ્પો ટ્રાવેલર નીચે દબાઈ જવાને કારણે ત્રણ વૃદ્ધાના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.
અકસ્માત બાદ ઘાયલ થયેલી વૃદ્ધાઓને સારવાર માટે નવસારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન બે વૃદ્ધા અને એક વૃદ્ધનું મોત થયું હતું. જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માત બાબતે નવસારી ગ્રામ્ય પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.