વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી પર અભદ્ર ટીપ્પણીને લઈ વડાપ્રધાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
સુરત શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ સિંધવની આગેવાનીમાં સુરતમાં વડાપ્રધાન મોદીના પૂતળનું દહન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદી દ્વારા સોનિયા ગાંધી અંંગે કરાયેલ ટીપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલી યુવક કોંગ્રેસે તાનમાં ને તાનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુવક કોંગ્રેસના કાર્યકરોએ મોદી વિરોધી સૂત્રો પોકાર્યા હતા.
હાય રે મોદી હાય, સોનિયા ગાંધી ઝીંદાબાદ, રાહુલ ગાંધી ઝીંદાબાદ અને નરેન્દ્ર મોદી મૂર્દાબાદના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીના પૂતળાને લાતો પણ મારવામાં આવી હતી.
કોંગ્રેસ માટે સારી વાત એ હતી કે પહેલી વખત વિરોધ પ્રદર્શન પોલીસ કરતાં કોંગ્રેસના કાર્યકરોન સંખ્યા વધુ જોવા મળી હતી. એક અંદાજ મુજબ યુવક કોંગ્રેસના 200થી વધુ કાર્યકરો પૂતળા દહન અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પોલીસને ચકમો આપી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.