તાજેતરમાં સુરતમાં ચકચાર જગાવનારા અને અખબારો સહિત ન્યૂઝ ચેનલોની હેડલાઈન્સ બનેલા ડો.પ્રફુલ્લ દોષી દ્વારા થયેલા મહિલા સાથેના દુષ્કર્મ કેસમાં હવે પ્રજાપતિ સમાજની મહિલાઓ મેદાને પડી છે. પ્રજાપતિ સમાજ દ્વારા પિડીતા અને એફએસએલનો રિપોર્ટ બદલી નાંખનારા અધિકારીઓ વિરુદ્વ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે આજે સાંજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સુરત વાટલીયા પ્રજાપતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શર્મિષ્ટાબેન વરીયાએ જણાવ્યું કે ડો.પ્રફુલ્લ દોષી દુષ્કર્મ કેસમાં સુરત ખાતેથી ખોટા એફએસએલ રિપોર્ટ બનાવનારા એફએસએલ વિભાગના અધિકારઓ વિરુદ્વ ફરીયાદ, ગુનો દાખલ કરવાની માંગ સાથે વાટલીયા પ્રજાપતિ મહિલા સમાજની મહિલા અને આગેવાનો સુરતના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપશે.
શર્મિષ્ટાબેન વરીયાએ કહ્યું કે ક્યાં સંજોગોમાં ડો.પ્રફુલ્લ દોષી દ્રારા થયેલા દુષ્કર્મના કેસમાં પિડીતાએ સમાધાન કર્યું? કોઈનું દબાણ હતું? પૈસાની લેવડ-દેવડ હતી કે કેમ? પિડીતાએ સમાજને જવાબ આપવો પડશે. પિડીત મહિલાની સાથે પ્રજપતિ સમાજ અડગ રીતે ઉભો રહ્યો હતો અને 164 મુજબનું નિવેદન નોંધાયા બાદ ક્યા કારણોસર પિડતાએ કોર્ટમાં સમાધાન કર્યું તે અંગે પિડીતા પાસેથી મીડીયા મારફત જવાબ લેવા માંગીએ છીએ.
અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ સુરતના તબીબ ડો.પ્રફુલ્લ દોષી કેસમાં પિડીતાએ કોર્ટમાં સમાધાનની એફીડેવિટ રજૂ કરી કેસ પાછો ખેંચ્યો હતો. પ્રજાપતિ સમાજે પિડીતાને ન્યાય અપાવવા અને દોષીને સજા કરવાની માંગ સાથે રેલી અને રજૂઆતો કરી હતી. હવે સમાજ દ્વારા આખાય કેસમાં એફએસએલ રિપોર્ટ બદલાયો હોવાના આક્ષેપ સાથે પિડીતા પાસે સમાધાન અંગે જવાબ માંગવામાં આવી રહ્યો છે.