રાજદ્રોહ કેસમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર અલ્પેશ કથીરિયા જેલમાં બંધ છે. જેને છોડાવવા માટે હવે પાટીદાર સંસ્થાઓનો ટેકો લેવામાં આવશે. થોડા દિવસ માટે જામીન ઉપર મૂક્ત થયેલો અલ્પેશ કથીરિયા અત્યારે સુરત જેલમાં બંધ છે.
મળતી માહિતી પ્રમાણે પાસ નેતા અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત કરાવવા માટે આગમી 1લી મેના રોજ રાજકોટ સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો સાથે બેઠક કરવામાં આવશે. અલ્પેશને જેલમાંથી મૂક્ત કરાવવા માટે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે. અને અલ્પેશ કથીરિયાને જેલમાંથી છોડાવવા માટે આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. દિનેશ બાંભણિયા સહિત પાસના કન્વીનરો આ બેઠકમાં હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, મહિનાઓ સુધી જેલમાં બંધ રહ્યા બાદ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર અલ્પેશ કથીરિયાના જેલવાસનો અંત આવ્યો હતો. તમામ કેસમાં જામીન મળતાં હવે તે ટૂંક સમયમાં જેલ બહાર આવશે. છેલ્લા કેટલાક સમયથી અલ્પેશના જામીન માટે પ્રયાસો તેજ થયા હતા. તો હવે અલ્પેશની જેલ મુક્તિ થતાં પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા લોકો ખુશ થયા હતા અને આંદોલન દરમિયાન જેલમાં જનારા અલ્પેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.