સુરત શહેરમાં કોરોનાવાયરસ (Corona Virus) ના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલમાં શહેરમાં કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં પણ ખાસ કરીને સુપર સ્પ્રેડરો જેવા કે કરિયાણાના દુકાનદાર, રિક્ષાચાલકો, સલૂન, વિવિધ ક્ષેત્રમાં એકાઉન્ટન્ટ વગેરેમાં સંક્રમણ વધુ જોવા મળતાં મનપા દ્વારા સુપર સ્પ્રેડરોને શોધી કોરોના કાબૂમાં કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે માટે મનપા દ્વારા ગુરુવારથી સુપર સ્પ્રેડરોમાં કોરોનાનું સંક્રમણ શોધવા માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ શરૂ કરાયું છે. જે અંતર્ગત ગુરુવારે રિક્ષાચાલકોના રેપિડ ટેસ્ટ કરાયા હતા. શહેરના વિવિધ રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષાચાલકો-ટેક્સી ડ્રાઈવરોના રેપિડ એન્ટિજેન ટેસ્ટ અંતર્ગત કુલ 1129 રિક્ષાચાલકને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં 12થી વધુ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. તેમજ મનપા દ્વારા શહેરીજનોને રિક્ષામાં બેસવા માટે એસ.ઓ.પી.નું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. રિક્ષામાં બેથી વધારે લોકોએ ન બેસવું અને રિક્ષાચાલકે માસ્ક ન પહેર્યુ હોય તો રિક્ષામાં ન બેસવા માટે પણ જણાવાયુ છે.
ઝોન | રિક્ષા/ટેક્સી ડ્રાઈવરનું ટેસ્ટિંગ |
સેન્ટ્રલ ઝોન | 102 |
વરાછા-એ ઝોન | 115 |
વરાછા-બી ઝોન | 59 |
રાંદેર ઝોન | 60 |
કતારગામ ઝોન | 122 |
ઉધના ઝોન | 379 |
અઠવા ઝોન | 99 |
લિંબાયત ઝોન | 193 |
શહેરમાં હવે સુપર સ્પ્રેડરો (Super Spreader) માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. જેથી કોરોનાના સંક્રમણને કાબૂમાં કરવા માટે મનપા દ્વારા વધુમાં વધુ સુપર સ્પ્રેડરોને શોધવા માટે સઘન ટેસ્ટિંગ (intense testing) કરવામાં આવી રહ્યુ છે. જે માટે જુદા જુદા દિવસે ટેસ્ટ માટેના લોકેશન તૈયાર કરી મનપા દ્વારા સઘન ટેસ્ટિંગ કરવામાં આવશે.