સુરત શહેરમાં દોડતી સિટી બસમાં બહુ ગાજેલા ટિકિટ કોભાંડ અટકાવવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા સાથે ટીકીટ ચેકિંગની જવાબદારી સુરત મહાનગરપાલિકાના ક્લાસ-1 અધિકારીઓને સોંપવામાં આવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ સીટી બસમાં ટીકીટ ચેકિંગ કરી શકશે. સુરતમાં દોડતી સિટી બસમાં કંડકટર દ્વારા મુસાફરો પાસે પૈસા લઈને ટિકિટના આપવાનો મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કોભાંડ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા બહાર લાવ્યા બાદ મહાનગર પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. મહાનગર પાલિકાના કમિશનરે સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટરની કામગીરીના વખાણ કરવા સાથે આ કોભાંડ અટકાવવાના પગલાં ભરવાની જાહેરાત કરી છે. ટિકિટ કૌભાંડ અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે સીટી લિંકના વિજિલન્સ વિભાગને તાકીદ કરી હતી. કમિશનરની સૂચના બાદ પણ ટિકિટ કોભાંડ ચાલુ જ રહેતા હવે ચેકિંગને વધુ સઘન બનાવવા માટે નિર્ણય કરાયો છે.
મ્યુનિસિપલ કમિશનર સીટી બસમાં ચેકિંગની સત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ-1ના અધિકારીઓને સોંપી દીધી છે. હવે સીટી લિંકના વિજિલન્સ વિભાગ સાથે મ્યુનિ.ના સીટી ઇજનેર, ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, એડિશનલ સિટી ઇજનેર, કાર્યપાલક ઇજનેર સાથે મહાનગરપાલિકાના વિભાગ અને સીટી લિંકના ડિરેક્ટરોને ટીકીટ ચેકિંગ માટે અધિકૃત કર્યા છે. અધિકારીઓ પણ ટિકિટ વગરના મુસાફરોને ઝડપીને તેમની પાસે આ ઉપરાંત એજન્સી સામે પણ કાર્યવાહી કરશે.આ ઉપરાંત મુસાફરો અને અન્ય કોઈને ટિકિટ અંગે કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર પર જાણ કરી શકે છે. મહાનગરપાલિકાએ સીટી બસ ટિકિટના ટિકિટ કૌભાંડો અટકાવવા 1800 233 0233 નંબરની હેલ્પલાઇન શરૂ કરી છે. મહાનગર પાલિકા કમિશનરે ટિકિટ કોભાંડ અટકાવવા માટે જે પ્રયાસ કર્યા છે તેના કારણે અંકુશ આવી શકે તેવી શક્યતા છે.