કોરોનાના કહેર વચ્ચે પણ હવે તમામ છૂટછાટ મળી જતાં ખાણી-પીણીના શોખીન સુરતીઓ (Surat) ખાણી-પીણીની લારીઓ પર તૂટી પડવા માંડ્યા છે. તેથી કોરોનાનું સંક્રમણ સતત વધવાની દહેશત ઊભી થઇ છે. ત્યારે વધુ સંક્રમણ છે તેવા અઠવા અને રાંદેર ઝોનમાં શોપિંગ મોલની જેમ સપ્તાહમાં પાંચ દિવસ લારીઓ ચાલુ રાખવા અને અને શનિ-રવિ ફરજિયાત લારી-ફૂડનું વેચાણ બંધ રાખવા કડક આદેશ કરાયો છે. સાથે સાથે ગાઇડલાઇનના (Guideline) કડક અમલ માટે પણ મનપા કમિશનરે તાકીદ કરી છે. જેમાં વધુ સંક્રમણવાળા હાઈ રિસ્ક ગણાતા વિસ્તારમાં લારીઓ બંધ રાખવા તેમજ લારીઓ પર એક સમયે માત્ર એક જ ગ્રાહકને વસ્તુ આપી શકાશે અને દરેક ગ્રાહકને (Customer) વસ્તુ આપ્યા બાદ વેચનારાએ હાથ સેનિટાઈઝ કરવાના રહેશે. રાત્રિના દસ વાગ્યે લારીઓ ફરજિયાત બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડનું (Street Food) વેચાણ કરનારા બે વ્યક્તિએ પણ નજીક નજીક ઊભા રહેવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. નિયમોનો ભંગ કરવામાં આવે તો પગલાં ભરવા માટે પણ મ્યુનિ. તંત્ર તૈયાર છે અને આ નિયમોનો કડકાઈથી અમલ કરાવવા માટે જાહેરાત પણ કરી છે.
સુરત શહેરમાં અઠવા ઝોન વિસ્તારમાં સતત પોઝિટિવ દર્દી વધી રહ્યા હોવાથી મનપા કમિશનર બંછાનિધિ પાની છેલ્લા 2 દિવસથી અઠવા ઝોનમાં રાઉન્ડ લઈ રહ્યા છે. શુક્રવારે મનપા કમિશનરે અઠવા તેમજ ઉધના ઝોનમાં રાઉન્ડ લીધો હતો. તેમજ જે વિસ્તારોમાં કોરોનાના વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે ત્યાં મુલાકાત લઈ લોકોને પણ એસ.ઓ.પી.નું પાલન કરવા અપીલ કરી હતી. તેમજ કોરોનાના સંક્રમણને કાબૂમાં કરવા માટે ઝોનમાં કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
શુક્રવારે મનપા કમિશનરે અઠવા ઝોનના સરસાણા રોડ પર આવેલા ગ્રીન વિક્ટરી એપાર્ટમેન્ટ અને રઘુવીર શેરેટોન લક્ઝરી એપાર્ટમેન્ટની મુલાકાત લઈ કરવામાં આવેલી કન્ટેન્મેન્ટ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારના મોટા ભાગના લોકો ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય મનપા કમિશનરે આ વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કર્યુ હતું અને સ્થાનિકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા પણ અપીલ કરી હતી. તેમજ અઠવા ઝોન વિસ્તારમાં વીક એન્ડમાં ખાણીપીણીની લારીઓ પર વધુ ભીડ જોવા મળતી હોવાથી મનપા કમિશનરે શનિવાર, રવિવારની રજા દરમિયાન સ્ટ્રીટ ફૂટનું વેચાણ બંધ કરાવવાની સૂચના આપી હતી.
નવરાત્રિમાં લોકો સંયમ જાળવે
કોરોનાના કેસોની વધતી સંખ્યાની તથા ગરબામાં લોકોની ભીડ થવાની ભીતિને કારણે આયોજકો ગરબાનાનું રિસ્ક લેવા માંગતા નથી. મોટા આયોજનો કે જેમાં 5થી 25 હજાર ખેલૈયાઓ હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગ શક્ય નથી. માસ્ક સાથે ગરબા રમાડવામાં આવે તો પણ મેડિકલ સાયન્સ મુજબ અનુરૂપ નથી. બીજી તરફ નવરાત્રીને લઈને આડકતરી રીતે પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સામૂહિક મેળાવડા ન થાય તે સુરત માટે સારું છે. લોકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તેમ સામૂહિક અનુધ્યાન કરીને સમગ્રપણે વિચારણા કરવી જોઈએ. ભૂતકાળમાં ગણેશ મહોત્સવમાં પોઝિટિવ કેસો મા વધારો થયો છે. જેથી આ બાબતે વિચારણા કરીને આયોજન કરવું જોઈએ.