કોરોનાની મહામારી વચ્ચે સરકાર અને સંચાલકોની અરજીઓ એક પછી એક હાઈકોર્ટમાં પડકારવામાં આવી રહી છે. આ તમામ પરિસ્થિતિનો ભોગ ફક્ત વિદ્યાર્થીઓ જ બનશે. સંચાલકો અને સરકારના ધર્ષણને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ રઝળી ગયું છે. શિક્ષકો તો બેરોજગાર બની ગયા પણ સાથે વિદ્યાર્થીઓ પણ ભણતર વિહોણા થઈ ગયા છે. શાળાઓ અને શિક્ષકોની વણસતી પરિસ્થિતિ અંગે સુરત શહેર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓ દ્વારા સુરત કમિશનરને અત્યાર સુધીમાં ચેરિટી તરીકે આપવામાં આવેલી રકમમાંથી સુરતની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક પેકેજ પુરુ પાડવા માંગણી કરવામાં આવી છે.
સુરત શહેર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત શહેરની તમામ શાળાઓ દ્વારા અત્યાર સુધી સરકારની ગાઈલાઈન્સ પ્રમાણે બાળકોની શારીરીક અને માનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું છે. ફી ન ભરી શકવાને કારણે કોઈ પણ વિદ્યાર્થીને અભ્યાસમાંથી કે શાળામાંથી બાકાત રાખવામાં આવ્યા નથી. સરકાર દ્વારા આરટીઆઈની રકમ હજી સુધી ચૂકવવામાં આવી નથી તે છતા શાળાઓએ સ્વખર્ચે બાળકોનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. મફત શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે, જો સરકાર ખાનગી શાળાઓ પાસે મફત શિક્ષણની આશા રાખતી હોય તો તે માટેના તમામ ખર્ચની જોગવાઈ કરવાની જવાબદારી સરકારની છે. સરકારે ખેડૂતો, ઉદ્યોગો અને સરકારી કર્મચારીઓને રાહત પેકેજ આપ્યા છે તો શિક્ષકોને શા માટે બાકાત રાખવામાં આવ્યા છે?
શાળા દ્વારા દર વર્ષે જમા કરવામાં આવતી ચેરિટીમાંથી આર્થિક પેકેજ જાહેર કરવા માંગ
સુરત શહેર ખાનગી શાળા સંચાલકોએ સરકારને આર્થિક પેકેજની માંગ કરતા રજૂઆત કરી છે કે શહેરની ઘણી શાળાઓ ચેરીટેબલ સંસ્થાઓ તરીકે રજીસ્ટર્ર છે. દર વર્ષે શાળાઓ દ્વારા સુરત કમિશનરને ફાળો જમા કરાવવામાં આવે છે. શાળાના સંચાલકોએ આ ચેરીટીમાંથી આર્થિક પેકેજ જાહેર કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી છે. જો અત્યારે સંસ્થાઓ નફા અને નુકસાનની ચિંતા કર્યા વગર જાહેર દાનની રકમ દ્વારા પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું હિત વિચારતી હોય તો સરકારે શાળા સંચાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવો જોઈએ.