સુરતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. ત્યારે સરસાણા ખાતે આવેલા ડોમમાં 544 બેડની સુવિધાથી સજ્જ કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જ્યાં 50 જેટલાં ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં 100 બેડ વચ્ચે ઓક્સિજનની માત્રા કોવિડના દર્દીઓ સુધી પહોંચી રહે તે માટેની તૈયારી હાલ કરી દેવામાં આવી છે. જો કે ઓક્સિજનનો પોઇન્ટ તમામ બેડ સુધી ન પહોંચી શકતા અલગથી વિશાળ ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાલ તંત્ર તરફથી કરવામાં આવી રહી છે.સુરતમાં કોરોનાના કેસો વધતાં તંત્ર દ્વારા ખાસ 544 બેડની કોવિડ હોસ્પિટલ અલગથી ઉભી કરવામાં આવી છે. તંત્ર દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકલન સાંધી સરસાણા ડોમ ખાતે નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં હાલ ઓક્સિજન ઇન્સ્ટોલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.નવી હોસ્પિટલ બેથી ત્રણ દિવસમાં કાર્યરત કરવામાં આવશે. હોસ્પિટલમાં બેડની સુવિધા સાથે દર્દીઓ માટે ખાસ પંખા તેમજ ઓક્સિજન પોઇન્ટ આપવામાં આવ્યાં છે. આ સાથે જ અલગથી ઓક્સિજન ટેન્ક સરસાણા ખાતે ઇન્સ્ટોલ કરવા અંગેની તૈયારી તંત્ર તરફથી કરવામાં આવી રહી છે. તદુપરાંત હોસ્પિટલમાં મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફ સહિત નર્સિંગ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 3 દિવસ બાદ કોવિડના નોન-ક્રિટિકલ કન્ડિશન ધરાવતા દર્દીઓને અહીં રીફર કરવાની કામગીરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે ગત રોજ શુક્રવારના દિવસે ફરી રાજ્યમાં કોરોનાના નવા 8920 કેસો નોંધાયા છે. જ્યારે આજ રોજ વધુ 94 લોકોના મોત નિપજ્યાં છે તમને જણાવી દઇએ કે, રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં હવે સ્થિતિ અત્યંત ગંભીર થતી જોવા મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 2898, સુરતમાં 1920, રાજકોટમાં 759 અને વડોદરામાં 600 કેસો નોંધાયા છે. હોસ્પિટલોના તબીબો પણ હવે લોકડાઉનની માંગ કરી રહ્યાં છે તો ક્યાંક ક્યાંક સ્વૈચ્છિક લોકડાઉન પણ લાદવાનું ચાલુ કરી દેવાયું છે. રાજ્યમાં પરિસ્થિતિ એટલી કથળી ગઇ છે કે, ક્યાંક હોસ્પિટલોના બેડ ફુલ થઇ રહ્યાં છે, તો ક્યાંક ઓક્સિજનની પણ અછત સર્જાઇ રહી છે તો ક્યાંક એમ્બ્યુલન્સની લાઇનો લાગી રહી છે.