સુરતના સીમાડા વિસ્તારની દિવાળીબાગ સોસાયટીમાં આવેલી કરિયાણાની દુકાનમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કરિયાણાની દુકાનના માલિક, તેની પત્ની અને પુત્ર સહિત 4 લોકો દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગે અહીંથી 29 ઘરેલું અને કોમર્શિયલ ગેસની બોટલો જપ્ત કરી છે. તેથી અહીં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચાંદમલ ગુર્જર સીમાડા વિસ્તારની દિવાળીબાગ સોસાયટીમાં ભાડાના મકાનમાં મામાદેવ કરીયાણા નામની દુકાન ચલાવે છે. જેમાં આજે ગેસ નીકળ્યા બાદ ધડાકો થયો હતો. જેમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટ બાદ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને પડોશીઓ પણ દોડી આવ્યા હતા. બ્લાસ્ટ બાદ આગની જ્વાળાઓ વચ્ચે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
દુકાનદાર ચાંદમલ ગુર્જર (ઉંમર 28), તેની પત્ની શિલાદેવી ચાંદમલ ગુર્જર (ઉંમર 26), પુત્ર કૃષ્ણ ચાંદમલ ગુર્જર (ઉંમર 4) અને પાડોશી ચંદ્રકાંત પરસોત્તમ પટેલ (ઉંમર 4) વિસ્ફોટને પગલે આગની લપેટમાં આવી ગયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કરતાં ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ચારેય લોકોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આગ ઓલવ્યા બાદ ફાયર વિભાગે દુકાનમાં તપાસ કરતાં કુલ 29 ઘરેલું અને કોમર્શિયલ ગેસના બાટલા અને બે ગેસ રિફિલિંગ પાઇપ મળી આવી હતી. તેથી, એવી આશંકા છે કે કરિયાણાની દુકાનની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલ કરતી વખતે ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. હાલ પોલીસ અને ફાયર વિભાગ તેની તપાસ કરી રહી છે.