આજ રોજ સુરત સેશન્સ કોર્ટમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેમાં સધન સુરક્ષા વચ્ચે નારાયણ સાંઈને લાજપોર જેલમાંથી સુરત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. નારાયણ સાંઈએ ચાલુ કોર્ટમાં પત્ર લખ્યો હતો.
નારાયણ સાંઇ તરફથી તેના વકીલે તેને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી હતી. સાંઇના વકીલની દલીલ હતી કે સાંઇએ પાંચ વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હોવાથી તેને ઓછોમાં ઓછી સજા થવી જોઈએ. દલીલો વચ્ચે નારાયણ સાંઇને કાગળ અને પેન આપવામાં આવ્યા હતા. સાંઇએ કાગળમાં લખ્યું હતું કે તેને દોષિત જાહેર કરવાના નિર્ણય અંગે પુનર્વિચાર કરવામાં આવે.
સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે નારાયણ સાંઈ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 C, 377, 354, 323, 504, 506, 120 B, અને 114 લગાડવામાં આવી છે. ગંગા અને જમના સામે કલમ 120 પ્રમાણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. ગંગા-જમનાને પણ મુખ્ય આરોપી જેટલી જ સજા ફટકારવામાં આવશે. સાંઈને જે કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ ઉંમરકેદની સજાની જોગવાઈ છે.