કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઇનના સમયગાળાનો કામદારોને પગાર ચૂકવવા મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચૂકાદો આપ્યો છે. તેને પગલે રાજ્યના ચીફ લેબર કમિશનરે સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટના ડેપ્યુટી લેબર કમિશનરોને પરિપત્ર મોકલાવી સુપ્રિમ કોર્ટના 12-6-2020ના ચૂકાદા પ્રમાણે લોકડાઉનના સમયગાળાના 50 દિવસ એટલે કે તારીખ 25-3-2020થી 17-5-2020 સુધીનો પગાર અપાવવા જાણ કરી છે તથા 1 જુલાઇ સુધીમાં રોજેરોજ લોકડાઉનના પગાર સંદર્ભે જિલ્લાવાર વિગતો મોકલવા પણ જણાવ્યું છે.
આ પરિપત્રને લીધે ઈએસઆઇ, પીએફ, ગુમાસ્તાધારા અને વ્યવસાય વેરા હેઠળ નોંધાયેલા એકમોના ત્રણથી ચાર લાખ લોકોને લોકડાઉનનો પગાર મળશે. ચીફ લેબર કમિશનરે જે તે કંપનીને પહેલા કર્મચારી અને યુનિયન. એસો. સાથે વાટાઘાટો કરવા જણાવ્યું છે. જો તેમાં સમાધાન નહીં સધાય તો જે તે ડેપ્યુટી લેબર કમિશનરને સમાધાન કરાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના ચૂકાદા મુજબ કારખાનાઓ અને ઉદ્યોગો લોકડાઉનના સમયમાં પૂરેપૂરી ક્ષમતા સાથે કામ કરતા નહોય તો પણ લોકડાઉનનો પગાર ચૂકવવો પડશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. તમામ સ્તરે સમાધાનના પ્રયાસ પછી પણ કારખાનેદાર કે ઉદ્યોગકારો નહીં માને તો શ્રમ કાનૂન હેઠળ પગલા લેવાની સત્તા પણ લેબર વિભાગના અધિકારીઓને આપવામાં આવી છે.
સુરતથી ઇન્ટુકના ગુજરાત એકમના પ્રમુખ નૈષધ દેસાઇએ વડા પ્રધાન, કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી કામદારોને લોકડાઉનનો પગાર અપાવવા માંગ કરી હતી. બીજી તરફ સુરત ઇન્ટુકના માજી પ્રમુખ કામરાન ઉસ્માનીએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી પિટિશનમાં ગુજરાત સરકારે લોકડાઉનનો પગાર સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આધિન આપવા ખાતરી આપી હતી. જ્યારે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જિલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે 105 ડાયમંડ કંપનીઓની યાદી બનાવી રાજ્યના મુખ્યમંત્રી, શ્રમ અને રોજગાર મંત્રી, રાજ્યપાલ અને લેબર કમિશનરને લેખિત ફરિયાદ કરી રત્ન કલાકારોને લોકડાઉનનો પગાર અપાવવા માંગ કરી હતી. ગઇ કાલે સુપ્રિમ કોર્ટના ચૂકાદા સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પત્ર સુપ્રત કર્યુ હતું.
અગાઉ જ્યારે સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલ્યો તે પહેલા જીજેઇપીસી અને સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા સંયુક્ત રીતે લેબર વિભાગને રજૂઆત કરવામાં આવી હતી કે હીરા ઉદ્યોગ દ્વારા મહિને 1400 કરોડનો પગાર ચૂકવવામાં આવે છે. હીરા ઉદ્યોગ હાઇ-વેલ્યૂ ગુડ્સ બનાવતો હોવાથી લોકડાઉનનો પગાર આપવો શક્ય નથી. પરંતુ સુ્પ્રીમ કોર્ટે પચાસ દિવસ લોકડાઉનનો પગાર ચૂકવવા આદેશ આપતા માત્ર સુરતના હીરા ઉદ્યોગને અંદાજિત 2333 કરોડ ચૂકવવા પડશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા 24 માર્ચથી 17મે સુધીના લોકડાઉનના પચાસ દિવસનો પગાર ચૂકવવા માટે આદેશ આપવામાં આવતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની સંપૂર્ણ ચેઇન પર 8000 કરોડનું ભારણ આવશે. મંદીના સમયે વિવિંગ, પ્રોસેસિંગ, વોર્પ નિટીંગ, સ્પીનિંગ, ટેક્સયુરાઇઝિંગ, સાઇઝિંગ, અને એમ્બ્રોઇડરી સહિતા કારખાનેદારોને લોકડાઉનનો પગાર હવે ચૂકવવો પડશે.