સુરત : ધ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ગત શુક્રવારની રાત્રે જેઈઈ મેઈનના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં ૧૦૦ માંથી ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીની કુલ સંખ્યા ૨૪ જેટલી નોંધાઈ છે. સુરતના 6 કેન્દ્રો પરથી 8106 વિદ્યાર્થીઓએ JEE ની પરીક્ષા આપી હતી. જે પૈકી સુરતની નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતા અનમોલ શરાફે 99.99 પર્સેન્ટાઈલ રાજ્યમાં બીજો અને દેશમાં 86 મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે. સુરતની આશાદીપ ગૃપ ઓફ સ્કૂલ, એસ.ડી. જૈન સ્કુલ, શારદાયતન, પી.પી.સવાણી, ભૂલકા ભવન, જેવી શાળાઓના વિદ્યાર્થીઓએ 90 અપ પર્સનટાઈલ મેળવ્યા છે. જેઈઈ મેઈન ૨૦૨૦નું પરિણામ રાત્રે ૧૧ વાગે જાહેર કરવામાં આવ્યુ છે. આ અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફાઈનલ આંસર કી જાહેર કરી હતી. એન્જીનિયરિંગમાં એડમિશન માટે યોજાતી આ પરીક્ષા ૧ લીથી ૬ સપ્ટેમ્બર,૨૦૨૦ સુધી ઓનલાઈન મોડ મારફતે યોજવામાં આવી હતી.
JEE ની પરીક્ષામાં ક્ષેષ્ઠ પરીણામ મેળવનાર શાળાઓમાં પી.પી. સવાણીના 9 વિદ્યાર્થીઓએ 99 પર્સનટાઈલ મેળવ્યા છે, જેમાં દર્શીલ જરીવાલાએ 99.93 પર્સનટાઈલ મેળવીને શાળામાં ટોપ કર્યું છે. આશાદીપ ગૃપ ઓફ સ્કૂલના 8 વિદ્યાર્થીઓએ 99 પર્સનટાઈલ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે, જેમાં સવાણી હીતે 99.71 પર્સનટાઈલ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આશાદીપ સ્કૂલના 8 વિદ્યાર્થીઓએ 99 અપ, 58 વિદ્યાર્થીઓએ 95 અપ અને 162 વિદ્યાર્થીઓએ 90 અપ પર્સનટાઈલ મેળવ્યા છે. સુરતની એસ.ડી.જૈન શાળાના 5 વિદ્યાર્થીઓએ 90 અપ પર્સનટાઈલ મેળવ્યા છે.
સુરતના અનમોલ શરાફે 99.99 પર્સેન્ટાઈલ રાજ્યમાં બીજો અને દેશમાં 86 મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો
JEE મેઈન પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતના અનમોલ શરાફ નામના વિદ્યાર્થીએ 99.99 પર્સેન્ટાઈલ રાજ્યમાં બીજો અને દેશમાં 86મો રેન્ક મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે, જેનો શ્રેય અનમોલે ઓનલાઈન માર્ગદર્શન આપતાં નારાયણના શિક્ષકો અને માતા પિતાને આપતાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં હવે મુંબઈની IITમાંથી કોમ્પ્યુટર સાયન્સ સાથે આગળ વધવાની ઈચ્છા છે. અનમોલ સામાજિક પ્રસંગોમાં હાજરી આપ્યા વગર સતત તૈયારી પર ધ્યાન આપ્યું હતું. લોકડાઉન અને કોરોના કાળમાં ક્લાસીસ બંધ હોવા છતાં ઓનલાઈન માર્ગદર્શન શિક્ષકો દ્વારા સતત આપવામાં આવતું હતું. અનમોલના માતા-પિતા તેની સિદ્ધીની ઉજવણી કરતાં કહ્યું હતું કે, અનમોલ અભ્યાસની સાથે સોશિયલ એક્ટિવિટીથી દૂર રહ્યો હતો. દાદાના અવસાન વખતે પણ વતન નહોતો આવ્યો. અનમોલે તેની સિદ્ધી માટે પરિવારનો સપોર્ટ મહત્વનો હોવાની સાથે સાથે શિક્ષકોનું માર્ગદર્શન ખૂબ સારૂં રહ્યું હોવાનું જણાવ્યું હતું.
એમ્બોડરીની કારખાનામાં કામ કરતા મજૂરના પુત્ર જુહીલ અસલાલિયાએ 99.90 પર્સનટાઈલ મેળવ્યા
શહેરની વરાછા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી શાળાના ગુજરાત બોર્ડના વિદ્યાર્થી જુહીલ અસલાલિયાએ જેઈઈની પરીક્ષામાં ટ્યુશન વગર સતત મેહનત કરીને 99.90 પર્સનટાઈલ મેળવીને ગુજરાતી ભાષાને ઉજાગર કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ઉંટવડ ગામના વતની જૂહીલ અસલાલિયાના 12 પાસ પિતાજી એમ્બ્રોડરીના કારખાનામાં મજૂરી કામ કરે છે. ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી શાળા દ્વારા તેમની બે વર્ષની ફી માફ કરવામાં આવી હતી. જૂહીલે કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ વગર બે વર્ષ સતત અને સખત મેહનત કરીને શાળામાં જેઈઈ ટોપમાં સ્થાન મેળવ્યું છે.