શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વધુ ને વધુ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જેથી મનપા દ્વારા ટેક્સટાઈલ ક્ષેત્રમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે ટેક્સટાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જે વિસ્તારોમાં વસવાટ કરે છે તેવા વિસ્તારોમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી સંક્રમણને જલદીથી રોકી શકાય. મનપા (SMC) દ્વારા મંગળવારે લિંબાયત ઝોનના મગોબ વિસ્તારના મોટા ભાગના લોકો ટેક્સટાઇલ માર્કેટ (Textile Market) વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી અહીં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયા હતા. જેમાં 24 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા.
લિંબાયત ઝોનના મગોબ વિસ્તારમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ વધુ હોવાથી આ વિસ્તાર હોટસ્પોટ વિસ્તાર તરીકે જાહેર કરાયો છે. મનપા દ્વારા મંગળવારે લિંબાયત ઝોનમાં મગોબ વિસ્તારમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયા હતા. જેમાં વિવિધ ટેક્સટાઈલ માર્કેટોમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં અભિષેક માર્કેટમાં 200 વ્યક્તિનો ટેસ્ટ કરતાં તેમાં 5 વ્યક્તિ પોઝિટિવ, મહાવીર માર્કેટમાં 177 વ્યક્તિનો ટેસ્ટ કરતાં 5 વ્યક્તિ પોઝિટિવ, રાધે માર્કેટમાં 75 વ્યક્તિનો ટેસ્ટ કરતાં 4 વ્યક્તિ પોઝિટિવ, રેશમવાલા માર્કેટમાં 150 વ્યક્તિનો ટેસ્ટ કરતાં 10 વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યા હતા. આ તમામ માર્કેટ મળી કુલ 602 વ્યક્તિના ટેસ્ટ કરતાં 24 વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યા હતા. જેથી મનપા દ્વારા તમામ માર્કેટોમાં દરેક વ્યક્તિ સ્વયં શિસ્ત જાળવી કોરોના સંક્રમણથી સાવચેતી રાખે તેવી અપીલ કરવામાં આવી હતી. અને સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના સામે રક્ષણ માટેની માર્ગદર્શિકાનું ફરજિયાત પાલન કરવા અપીલ કરી હતી.
એક જ દિવસમાં 8 શાકભાજી વિક્રેતા પોઝિટિવ મળી આવ્યા
શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે તંત્ર દ્વારા સુપર સ્પ્રેડરોને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા દરરોજ વિવિધ ક્ષેત્રના સુપર સ્પ્રેડરોને શોધી તેમના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મંગળવારે મનપા દ્વારા વિવિધ વિસ્તારોના શાકભાજી વિક્રેતાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 8 વિક્રેતા પોઝિટિવ મળી આવ્યા હતા. મનપા દ્વારા વિવિધ ઝોનમાં કુલ 1099 શાકભાજી વિક્રેતાઓના રેપિડ ટેસ્ટ કરાયા હતા. જેમાં સોથી વધુ ઉધના ઝોનમાં 3 પોઝિટિવ મળી આવ્યા હતા તેમજ વરાછા-બી ઝોનમાં 2, રાંદેર ઝોનમાં 2, અને અઠવા ઝોનમાં 1 શાકભાજી વિક્રેતા પોઝિટિવ મળી આવ્યા હતા.
શહેરમાં ટેક્સટાઈલ ક્ષેત્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી જ રહ્યું છે. અનલોકમાં ધંધા-રોજગાર શરૂ થતા ડાયમંડ ક્ષેત્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું અને ત્યારબાદ હવે ટેક્સટાઈલ ક્ષેત્રમાં સંક્રમણ વધી રહ્યું છે. ટેક્સટાઈલ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યાપારીઓ, દુકાનદારો, વર્કરો કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. મંગળવારે શહેરમાં નોંધાયેલા પોઝિટિવ દર્દીઓમાં ટેકક્સટાઈલ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વધુ 8 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાં ટેક્સટાઈલ માર્કેટના 2 વ્યાપારી, ટેક્સટાઈલ માર્કેટમાં 1 દુકાનદાર, તેમજ અન્ય 4 લોકો સપડાયાં હતાં. તે ઉપરાંત કાપોદ્રાનાં ટાયરના વેપારી, સનશાઈન ગ્લોબલ હોસ્પિટલના તબીબ, પીપલોદમાં જીમના એક વર્કર, સ્મીમેરના 2 તબીબ, સ્મીમેરના 2 નર્સ, મનપાના ભાગળના કમ્પ્યુટર ઓપરેટર, એમ્બ્રોઈડરીના વેપારી, નવી સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરના આસિસ્ટન્ટ સ્ટાફકર્મી કોરોનામાં સપડાયાં હતાં.