કોવિડ-19 કોરોના સંક્રમણને લીધે સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયાએ સુરત એરપોર્ટથી બંધ કરેલુ એર ઓપરેશન 7 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ એર ઇન્ડિયા સુરતથી દિલ્હીની બે ફ્લાઇટ, સુરતથી ભુવનેશ્વર સપ્તાહમાં બે દિવસ અને સુરતથી મુંબઇની સપ્તાહમા ત્રણ દિવસની ફ્લાઇટ ઓપરેટ કરતી હતી. પરંતુ હવે 7 સપ્ટેમ્બરથી સુરતથી દિલ્લી, કોલકાતા, ભુવનેશ્વર, ગોવા અને હૈદ્રાબાદની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.
જોકે આ સેવા માટે એર ઇન્ડિયા બે વિમાન કાર્યરત કરવાનું હોવાથી દિલ્હી-સુરત, સુરત-કોલકાતા, સુરત-ભુવનેશ્વરની પ્રથમ ફ્લાઇટ સોમવારે અને બુધવારે ચાલશે, જ્યારે દિલ્હી-સુરત, સુરત-ગોવા, સુરત-હૈદ્રાબાદની બીજી ફ્લાઇટ માત્ર રવિવારે ઓપરેટ થશે.
એટલે કે એરઇન્ડિયાએ ગોવા, હૈદ્રાબાદ, કોલકાતાના નવા ડેસ્ટિનેશન આપવાની જાહેરાત કરી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ અને ટ્રાવેલ એજન્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ માલ્કમ પંડોલે 1 માસ અગાઉ એરઇન્ડિયાના સીએમડીને સુરત એરપોર્ટથી ફરી ફ્લાઇટ શરૂ કરવા રજુઆત કરી હતી. સાથેસાથે સુરતના સાંસદ દર્શના જરદોશ અને નવસારીના સાંસદ સીઆર પાટીલે કેન્દ્રના નાગરિક ઉડ્ડ્યન મંત્રી અને એરઇન્ડિયાના સીએમડીને સુરતથી વિમાનસેવા શરૂ કરવા રજૂઆત કરી હતી. આ સામુહિક રજૂઆતનો પડઘો પડ્યો છે. સાંસદ દર્શના જરદોશે જણાવ્યું હતું કે સુરતથી પાંચ શહેરોને જોડતી વિમાન સેવા 7 સપ્ટેમ્બરથી શરૂ થશે.