શહેરમાં (Surat City) કોરોનાના સંક્રણને કાબુમાં કરવા માટે તંત્ર તો સતત કામગીરી કરી જ રહ્યું છે. પરંતુ શહેરીજનો પણ સહકાર આપે તો કોરોનાના સંક્રમણને વહેલી તકે કાબુમાં લાવી શકાય તેમ છે. પરંતુ શહેરીજનો (Citizens) તે બાબતે સહકાર આપી રહ્યાં નથી જેના કારણે કોરોનાના સંક્રમણને સંપુર્ણ રીતે કાબુમાં કરી શકાયું નથી. શહેરમાં જેઓ કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે તેમના પરિવારજનોને તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરેન્ટાઈનની ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત મનપા દ્વારા શનિવારે આકસ્મિક ચેકિંગ કરાયું હતું. જેમાં 62 વ્યકિતઓ હોમ આઈસોલેશનની ગાઈડલાઈનનો (Home Isolation Guideline) ભંગ કરતા પકડાયા હતા.
શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલા પોઝિટિવ કેસના ફેમિલી અને સોશિયલ કોન્ટેક્ટમાં આવેલ વ્યક્તિ હોમ આઈસોલેશન નિયમનો પાલન કરી રહ્યા છે કે કેમ તે બાબતે સુરત મહાનગર પાલિકા દ્વારા આકસ્મિક ચેકિંગ કરાયું હતું .જેમાં વિવિધ ઝોનના કુલ 42 પોઝિટિવ કેસો તેમજ પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા 434 ફેમિલી અને હોમઆઇસોલેશન વ્યકિતઓના ઘરે મનપાની ટીમે આકસ્મિક ચેકિંગ કર્યુ હતું. જે પૈકી 372 લોકો હોમ આઈસોલેશનનું પાલન કરી રહ્યા હતા અને 62 વ્યકિતઓએ ગાઈડલાઈનનો ભંગ કર્યો હોવાનું જણાયું હતું. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 3, વરાછા-એ ઝોનાં 10, વરાછા-બી ઝોનમાં 9, કતારગામ ઝોનમાં 17, રાંદેર ઝોનમાં 2, ઉધના ઝોનમાં 3, અઠવામાં 14 તેમજ લિંબાયત ઝોનમાં 4 એમ કુલ 62 લોકોએ હોમ આઈસોલેશનની ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. મનપા દ્વારા જણાવાયું છે કે, જેઓ પણ હોમ આઈસોલેશનની ગાઈડલાઈનનો ભંગ કરશે તેઓ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવશે.
મનપાના સુપર સ્પ્રેડર ટેસ્ટિંગ ઝુંબેશમાં 9 ફુડ ડિલીવરી બોય પોઝિટિવ મળી આવ્યા
સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને કાબુમાં કરવા માટે વિવિધ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી છે. જેમાં હવે શહેરમાં સુપર સ્પ્રડરોમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપા દ્વારા દરરોજ જુદા જુદા ક્ષેત્રના સુપર સ્પ્રેડરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી કોરોનાના સંક્રમણને અટકાવી શકાય, શનિવારે મનપા દ્વારા વિવિધ ફુડ ડિલીવરી સંસ્થામાં કામ કરતા ડિલીવરી બોયના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મનપા દ્વારા કુલ 695 ફુડ ડિલીવરી બોયના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 9 પોઝિટિવ મળી આવ્યા હતા. સુરતીઓ ખાણી-પીણીના શોખીન હોય, ઘરે પણ ઓનલાઈન ફુડ ઓર્ડર કરી રહ્યા છે. ત્યારે 9 ફુડ ડિલીવરી બોય પોઝિટિવ આવતા સંક્રમણ વધુ ફેલાયું હોય તે વાતમાં કોઈ બે મત નથી!