સુરત શહેરમાં ચકચાર જગાવનારા ડો.પ્રફુલ દોષી દ્વારા મહિલા સાથેના દુષ્કર્મ કેસમાં પ્રજાપતિ સમાજન મહિલાઓએ પોલીસ કમિશરને આવેદનપત્ર આપી એફએસએલ રિપોર્ટ બદલી કાઢનારા અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગં કરી છે. વાટલીયા પ્રજાપતિ સમાજ મહિલા મંડળના પ્રમુખ શર્મિષ્ટાબેન વરીયા સહિતની મહિલાઓએ પોલીસ કમિશનરને મેમોરેન્ડમ આપી રજૂઆત કરતા પ્રફુલ દોષી પ્રકરણમાં આવનાર દિવસોમાં નવા ફણગા ફૂટવાની શક્યતા નકારી શકાતી નથી.
વાટલીય પ્રજાપતિ સમાજની મહિલાઓએ આવેદનપત્રમાં જણાવ્યું કે સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ,ર.નંબપ 116/2018 પ્રમાણે ડો.પ્રફુલ દોષી વિરુદ્વ દુષ્કર્મની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ભોગ બનનારી પિડીતા અમારી એટલે કે પ્રજાપતિ સમાજની પરિણીતા હતી. સમાજના આગેવાનો દ્વારા પિડીતાને ન્યાય અપાવવાના હેતુથી વિવિધ પ્રકારના આવેદનો કેમજ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. પિડીતાનો સીઆરપીસી 164 મુજબનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ પિડીતા અને આરોપી ડો.પ્રફુલ દોષીના લેવામાં આવેલા વિવિધ સેમ્પલોને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ન્યૂઝ પેપરો દ્વારા જાણવા મળ્યું હતું કે ડો.પ્રફુલ દોષીના રિપોર્ટ નેગેટીવ આવેલા છે. આ રિપોર્ટ બહાર આવ્યા બાદ પિડીતાનો કદાચ મોરલ તૂટી ગયો હોય એવું બની શકે છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે અમારા સમાજની બે-પાંચ વ્યક્તિઓ દ્વારા પરિણીતા અને તેના પરિવારને ધમકાવી દબાવવામાં આવ્યો હોય કે ડો.પ્રફુલ દોષી બહુ મોટો માણસ છે અને મની પાવર,મસલ પાવર અને રાજકીય વગ ધરાવતી વ્યક્તિ છે અને એફએસએલ રિપોર્ટ નેગેટીવ આવેલા છે. આ ઉપરાંત પિડીતા પર માહાનિનો કેસ કરવા વગેરે વાતો કરવામાં આવી હોય અને પિડીતાને સમાધાનમાં બેસી જાઓ નહીંતર તમારા હાલ-બેહાલ થઈ જશે. ડો.પ્રફુલ દોષી સાથે સમાધાન કરી ફરીયાદ રદ્દ કરી લો કે પરત ખેંચી લો. આવી ધમકીઓ અમારા સમાજની પરિણીતાને આપવામાં આવી હોય તેવી પૂરેપૂરી શક્યતા છે.
વધુમાં આવેદનપત્રમાં જણાવાયું છે કે તારીખ 29-11-2018ના દિવસે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ગાંધીનગરનાં એફએસએલ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ વાતથી પરિણીતા સાથે દુષ્કર્મની વાતને સમર્થન મળી ગયું છે. આને લગતા સમાચારો પણ અખબારો મારફત જાણવા મળ્યા છે.
વાટલીયા પ્રજાપતિ સમાજની મહિલાઓએ પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે આ નાણાકીય વહીવટ કરી ખોટા અને બોગસ રિપોર્ટ બનાવી કાયદાની આંખ ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો છે. જેથી કરીને સુરત ખાતેના જવાબદારો સામે ગુનો દાખલ કરી એફઆઈઆર કરવાની માંગ કરવામાં આવી છે.