સુરતમાં કડીયા કામ કરતા કારીગરો અને મજૂરો રસ્તા પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં કડીયા અને મજૂરોએ રેલી આકારે નીકળી સુરતના કલેક્ટર ધવલ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. વિશ્વ માનવ અધિકારી દિવસ નિમત્તે મજૂર અધિકાર મંચના નેજા હેઠળ નીકળેલી રેલીમાં મોટી સંખ્યમાં મજૂર મહિલાઓ પણ જોડાઈ હતી. મજૂર અધિકાર મંચે આવેદનપત્રમાં સાત મુદ્દા સાથેની માંગ કરી છે.
મજૂર અધિકાર મંચે આવેદનપત્રમાં જણાવ્યું કે ગાંધીનગર, અમદાવાદ,સુરત, રાજકોટ અને વડોદરા જેવાં શહેરો ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. ઘણા બાંધકામો અને કાર્યોમાં મજૂરોની જરૂરિયાત હોય છે.જુદા-જુદા ક્ષેત્રમાં રોકાયેલા ઠેકેદારો મારફત ગુજરાતના છેવાડાના ગામડાઓ તેમજ જુદા-જુદા રાજ્યોમાંથી વતનમાંથી સ્થળાંતર કરીને કામ કરવા કડીયા અને કારીગરો આવે છે. શહેરોમાં આવ્યા પછી તેમને લઘુત્તમ વેતન મળતું નથી. માનવ અધિકારો અને શ્રમિક તરીકેનાં અધિકારો મળતા નથી. શહેરોમાં કડીયા અને મજૂરો પ્રત્યે સાવકો વ્યવહાર કરવામાં આવે છે.
મજૂર અધિકાર મંચે રજૂ કરેલી સાત માંગ
- નાકા પરથી રોજ-બરોજ કામ શોધી રોજી રોટી રળતા કડીયા-મજૂરોની મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરવામાં આવે. તેમની હાજરી પુરાય તેવી વ્યવસ્થા શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવે.
- સાઈટ પર કામ કરતાં કામદારોની રોજ-બરોજની હાજરી બિલ્ડર દ્વારા બોર્ડને સુપરત કરવામાં આવે. હાજરીના આધારે કામદારોને પીએફ, ઈએસઆઈ, ગ્રેજ્યુટી વગેરેના લાભો આપવામાં આવે.
- તમામ કામદારોને રહેવા માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સરકાર દ્વારા લેબર હોસ્ટેસ શરૂ કરવામાં આવે. કામદારો માટે રોજગાર ગેરંટી યોજના લાગુ કરવામાં આવે. આ યોજનાનાં અનુસંધાને બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ કરવામા આવે.
- શહેરોમાં કામ કરવા આવેલા સ્થળાંતરિત કામદારોના સ્વાસ્થ્ય, અનાજ અને તેમના બાળકોના શિક્ષણનો લાભ ફરજિયાત બનાવવામાં આવે અને તે માટેની વ્યવસ્થા કરવામાં આવે.
- કામ કરાવ્યા બાદ મજૂરી ન ચૂકવાઈ હોય તો તેવા કિસ્સામાં બિલ્ડર કે કોન્ટ્રાક્ટર વિરુદ્વ ફોજદારી કેસ સહિતના કાયદેસરના પગલા ભરવામાં આવે. કામના સ્થળ પર અકસ્માતે મોતને ભેટેલા કામદારોને પાંચ લાખ રૂપિયાના વળતરની બોર્ડ દ્વા જોગવાઈ કરવામાં આવે અને બિલ્ડર સામે કામદાર વળતર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વારસદારને વળતર મળે તેવી જોગવાઈ કરવામાં આવે.
- તમામ લેબર કોન્ટ્રાક્ટરોને લાયસન્સ આપવામાં આવે અને મહારાષ્ટ્રની જેમ મથાડી બોર્ડની રચના કરવામાં આવે.
- સુરત શહેરમાં એમ્બ્રોઈડરી ઉદ્યોગ તેજીથી વિકસી રહ્યો છે. આ ક્ષેત્રમાં યુપી, બિહાર, છત્તીસગઢ. ઓરિસ્સા સહિતના અનેક રાજ્યોમાંથી કારીગરો કામ કરી રહ્યા છે. તેમની પાસે કોઈ પણ રજા સિવાય રોજે રોજ સળંગ 12 કલાક કામ કરવવામાં આવે છે. તેમને કાયદા મુજબ ઓવર ટાઈમ ચૂકવાતું નથી. બે-ત્રણ મહિના સુધી પગાર પણ આપવામાં આવતો નથી. હાલમા રવિવારની રજા માટે આંદોલન થયું હતું. તો એમ્બ્રોઈડરીના ક્ષેત્રના કામદારો માટે પોલિસી બનાવવામાં આવે અને હક રજા સહિતનો મુદ્દાઓ જાહેર કરવામાં આવે.