તેલંગાણામાં અનોખો કિસ્સો: 12 લાખ લોકોએ પોતાને ગણાવ્યા ‘જાતિ મુક્ત’, છતાં અડધા પાસે છે જાતિના પ્રમાણપત્રો!
ભારતીય સમાજમાં જાતિ વ્યવસ્થાના મૂળ ખૂબ ઊંડા છે, પરંતુ તેલંગાણાના તાજેતરના સર્વેક્ષણે એક અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. રાજ્યના અંદાજે 12 લાખ લોકોએ પોતાની જાતિ જણાવવાનો ઇનકાર કર્યો છે અને પોતાને ‘No Caste’ એટલે કે ‘કોઈ જાતિ નહીં’ શ્રેણીમાં નોંધાવ્યા છે. આ આંકડો રાજ્યની કુલ વસ્તીના 3.4% જેટલો થાય છે. આ આંકડાઓ જોતા, જો આ જૂથને એક સમુદાય માનવામાં આવે, તો તે તેલંગાણાનો 10મો સૌથી મોટો સમુદાય બની શકે છે.
શહેરી વિસ્તારોમાં ‘જાતિ મુક્ત’ ઓળખનો ક્રેઝ
સર્વેક્ષણના ડેટા મુજબ, પોતાને જાતિ મુક્ત ગણાવનારા આ 11,96,482 લોકો મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોના નહીં પણ શહેરી વિસ્તારોના રહેવાસી છે. ખાસ કરીને ગ્રેટર હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવા લોકોની સંખ્યા વધુ જોવા મળી છે. આ એવો વર્ગ છે જે શિક્ષિત છે, સારી નોકરીઓ કરે છે અને આર્થિક રીતે સદ્ધર છે.
નિષ્ણાતો માને છે કે જે લોકો આર્થિક અને સામાજિક રીતે સુરક્ષિત છે, તેમને જાતિ આધારિત ઓળખની જરૂર ઓછી જણાય છે. તેઓ જાતિ વ્યવસ્થાના તે નકારાત્મક પાસાઓથી બચી ગયા છે જેનો સામનો ગ્રામીણ કે પછાત વર્ગના લોકોએ કરવો પડે છે. આથી, તેઓ પોતાની ઓળખ એક આધુનિક અને જાતિ મુક્ત નાગરિક તરીકે આપવાનું પસંદ કરે છે.
મોટો વિરોધાભાસ: ઓળખ નથી પણ સર્ટિફિકેટ છે!
આ સર્વેમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે જે 12 લાખ લોકોએ પોતાને ‘જાતિ મુક્ત’ ગણાવ્યા છે, તેમાંથી અંદાજે 43.3% લોકો પાસે હજુ પણ સત્તાવાર જાતિ પ્રમાણપત્રો (Caste Certificates) મોજૂદ છે. આ એક મોટો સામાજિક વિરોધાભાસ દર્શાવે છે. એક તરફ આ લોકો વૈચારિક રીતે જાતિવાદને નકારતા હોવાનો દાવો કરે છે, પરંતુ બીજી તરફ સરકારી યોજનાઓનો લાભ લેવા, શિક્ષણમાં અનામત મેળવવા અથવા સરકારી નોકરીઓ અને પૈતૃક સંપત્તિના અધિકારો માટે તેઓ એ જ જાતિના દસ્તાવેજોનો ઉપયોગ કરે છે જેનો તેઓ સર્વેમાં ઇનકાર કરી રહ્યા છે.
વહીવટી રીતે કઈ શ્રેણીમાં મુકાયા?
તેલંગાણા સરકારના આંકડા મુજબ, વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે જે લોકોએ ‘કોઈ જાતિ નહીં’ નો વિકલ્પ પસંદ કર્યો છે, તેમને ‘અન્ય જ્ઞાતિઓ’ (OC – Other Castes) ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ જૂથને ‘સમગ્ર પછાતપણું સૂચકાંક’ (CBI) ના આધારે રાજ્યના સૌથી ઓછા પછાત સમૂહોમાં સામેલ કરવામાં આવ્યું છે. એટલે કે, આ વર્ગ શૈક્ષણિક અને આર્થિક માપદંડો પર ઘણો આગળ છે.
શા માટે લોકો પોતાની જાતિ છુપાવે છે અથવા નકારે છે?
સર્વેક્ષણના તારણો મુજબ આના મુખ્ય બે કારણો હોઈ શકે છે:
આધુનિકતા અને પ્રગતિશીલ વિચારધારા: શિક્ષિત વર્ગ હવે જાતિવાદના ચોકઠામાંથી બહાર આવવા માંગે છે અને પોતાની ઓળખ માત્ર એક ભારતીય તરીકે આપવા પ્રેરાય છે.
સુરક્ષિત આર્થિક સ્થિતિ: જેમની પાસે પહેલેથી જ ઉચ્ચ પગારવાળી નોકરી અને મિલકત છે, તેમને સામાજિક સુરક્ષા માટે પોતાની જ્ઞાતિનું પીઠબળ મેળવવાની જરૂરિયાત હવે જણાતી નથી.

