નાઇજીરીયામાં બાળકોની સુરક્ષા જોખમમાં: બંદૂકધારીઓએ 200થી વધુ વિદ્યાર્થીઓને બનાવ્યા બંધક
દક્ષિણ આફ્રિકી દેશ નાઇજીરીયામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બંદૂકધારીઓના એક જૂથે શુક્રવારે સવારે પશ્ચિમી પ્રાંતમાં આવેલી એક કેથોલિક સ્કૂલ પર હુમલો કર્યો છે. આ હુમલામાં બંદૂકધારીઓએ 200થી વધુ વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકોને બંધક બનાવી લીધા છે.
અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી હતી. થોડા દિવસો પહેલા જ પાડોશી રાજ્યમાં બંદૂકધારીઓએ 25 વિદ્યાર્થીનીઓનું અપહરણ કર્યું હતું, ત્યારે જ આ વધુ એક ગંભીર ઘટના બની છે.
સેન્ટ મેરી સ્કૂલ પર હુમલો
રાજ્ય સરકારના સચિવ અબુબકર ઉસ્માનના જણાવ્યા અનુસાર, હુમલો અને અપહરણની આ ઘટના અગવારામાં આવેલી સેન્ટ મેરી સ્કૂલ (St. Mary School) માં થઈ છે. જોકે, તેમણે બંધક બનાવવામાં આવેલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની ચોક્કસ સંખ્યા વિશે કોઈ માહિતી આપી ન હતી. અહેવાલ મુજબ, 215 વિદ્યાર્થીઓને બંધક બનાવવામાં આવ્યા છે. આ ઘટનાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી.
સુરક્ષા દળો તૈનાત
નાઇજર રાજ્ય પોલીસ કમાન્ડે જણાવ્યું કે, અપહરણ વહેલી સવારે થયું હતું. આ ઘટના બાદ સમુદાયમાં સેના અને સુરક્ષા દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
સેન્ટ મેરી સ્કૂલ એક માધ્યમિક શાળા છે, જે નાઇજીરીયામાં 12 થી 17 વર્ષની વયના બાળકોને શિક્ષણ આપે છે. ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરો દર્શાવે છે કે આ શાળા પરિસર નજીકની એક પ્રાથમિક શાળા સાથે જોડાયેલું છે, જેમાં 50થી વધુ ક્લાસરૂમ અને હોસ્ટેલ પણ છે.
પીડિતોના પરિવારોની વેદના
62 વર્ષીય દાઉદા ચેકુલાએ જણાવ્યું કે, અપહૃત થયેલા શાળાના બાળકોમાં તેમના ચાર પૌત્ર-પૌત્રીઓ પણ સામેલ છે, જેમની ઉંમર 7 થી 10 વર્ષની વચ્ચે છે. ચેકુલાએ કહ્યું, “અમને ખબર નથી કે અત્યારે શું ચાલી રહ્યું છે, કારણ કે આજે સવારથી અમને કંઈ સાંભળવા મળ્યું નથી. જે બાળકો ભાગી છૂટ્યા હતા, તેઓ વિખેરાઈ ગયા છે. તેમાંથી કેટલાક પોતાના ઘરો તરફ ભાગી ગયા છે. અમને બસ એટલી જ માહિતી મળી રહી છે કે હુમલાખોરો હજી પણ બાકીના બાળકોને લઈ જઈ રહ્યા છે.”
રાજ્ય સરકારનું નિવેદન
નાઇજર રાજ્ય સરકારના સચિવના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વધતા જોખમોની અગાઉની ગુપ્ત માહિતીની ચેતવણી હોવા છતાં આ અપહરણ થયું છે. નિવેદનમાં લખ્યું હતું કે, “દુર્ભાગ્યે, સેન્ટ મેરી સ્કૂલે રાજ્ય સરકારને જાણ કર્યા વિના અથવા તેની મંજૂરી લીધા વિના જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી દીધી, જેના કારણે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને અનિવાર્ય જોખમનો સામનો કરવો પડ્યો.”

