સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર મારું અને આયાતુલ્લાનું સંયુક્ત નિયંત્રણ હશે: ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી છે કે જો ઈરાન સાથેની વાતચીત સફળ રહેશે, તો વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંના એક એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ટૂંક સમયમાં ખોલી દેવામાં આવશે. આ દરમિયાન તેમણે એક સૂચક અને થોડું અસ્પષ્ટ નિવેદન આપતા કહ્યું કે, આ જળમાર્ગ પર કદાચ તેમનું અને ઈરાનના આગામી “આયાતુલ્લા”નું સંયુક્ત નિયંત્રણ હોઈ શકે છે.
હુમલાઓ પાંચ દિવસ માટે સ્થગિત, બજારમાં રાહત
ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથે થયેલી “રચનાત્મક વાતચીત” બાદ અમેરિકાએ ઈરાનના ઉર્જા માળખા પર થનારા સંભવિત હુમલાઓને પાંચ દિવસ માટે મોકૂફ રાખ્યા છે. ટ્રમ્પની આ જાહેરાતની અસર વૈશ્વિક બજારો પર તુરંત જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં મોટો ઘટાડો થયો, શેરબજારોમાં તેજી આવી અને મોંઘવારીના ડર વચ્ચે રોકાણકારોને થોડી રાહત મળી હતી. જોકે, ઈરાની ન્યૂઝ એજન્સી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે અમેરિકા સાથે અત્યાર સુધી કોઈ સીધી કે આડકતરી વાતચીત થઈ નથી.
શું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું મહત્વ?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનો સૌથી વ્યૂહાત્મક જળમાર્ગ છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ના પુરવઠાનો 20% હિસ્સો પસાર થાય છે. ફેબ્રુઆરીના અંતમાં ઈરાન પર થયેલા અમેરિકી-ઈઝરાયેલ હુમલા બાદ આ માર્ગ લગભગ બંધ જેવો જ છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 2,000 થી વધુ લોકોના મોત થયા છે અને વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે.
ઈરાનમાં સત્તા પરિવર્તનના સંકેત
ફ્લોરિડામાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે એમ પણ કહ્યું કે, તાજેતરના હુમલાઓમાં ઈરાનનું વરિષ્ઠ નેતૃત્વ પ્રભાવિત થયું છે. તેમણે દાવો કર્યો કે, “ત્યાં આપોઆપ જ સત્તા પરિવર્તન (Regime Change) થઈ રહ્યું છે.” તેમણે ઉમેર્યું કે તેઓ અત્યારે એવા લોકો સાથે વાત કરી રહ્યા છે જેઓ ખૂબ જ સમજદાર અને પ્રતિષ્ઠિત છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હોર્મુઝ પર કોનું નિયંત્રણ રહેશે, ત્યારે તેમણે હળવા અંદાજમાં કહ્યું, “કદાચ હું… હું અને આયાતુલ્લા, જે પણ આગામી આયાતુલ્લા હશે તે…”
જળમાર્ગ ખોલવા માટેનું અલ્ટીમેટમ
આ પહેલા શનિવારે ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો 48 કલાકમાં તમામ શિપિંગ માટે આ જળમાર્ગ ખોલવામાં નહીં આવે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સને નષ્ટ કરી દેવામાં આવશે. તેની સમયમર્યાદા સોમવારે સમાપ્ત થતી હતી, પરંતુ ટ્રમ્પે હવે પાંચ દિવસની વધારાની મહેતલ આપીને મુત્સદ્દીગીરીને તક આપી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી પાંચ દિવસમાં ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ સત્તાવાર સમજૂતી થાય છે કે કેમ.

