યુદ્ધના મેદાન વચ્ચે ભારતની કૂટનીતિક જીત: LPGથી ભરેલા વધુ બે ભારતીય જહાજો હોર્મુઝની સામુદ્રધુનીથી ભારત આવવા રવાના
ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સમગ્ર વિશ્વમાં અશાંતિનો માહોલ છે, પરંતુ આ ભીષણ જંગની વચ્ચે પણ ભારતીય તિરંગાવાળા બે જહાજો સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યા છે. ઈરાને એલપીજી (LPG) થી ભરેલા બે ભારતીય ટેન્કરોને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Hormuz Strait) માંથી પસાર થવાની મંજૂરી આપી છે.
સંવેદનશીલ માર્ગ પર ‘જગ વસંત’ અને ‘પાઈન ગેસ’
હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય ધ્વજ ધરાવતા બે એલપીજી ટેન્કરો, ‘જગ વસંત’ અને ‘પાઈન ગેસ’, પર્શિયન ગલ્ફથી ભારત તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ જહાજો હાલમાં યુએઈના શારજાહ પાસેથી પસાર થઈને લારક-કેશમ ચેનલ તરફ આગળ વધી રહ્યા છે. નોંધનીય છે કે હોર્મુઝની સામુદ્રધુની વિશ્વનો સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ માનવામાં આવે છે. સોમવારની સ્થિતિ મુજબ, આ બંને ટેન્કરો એલપીજીથી લદાયેલા છે, જે ભારતની ઘરેલું રસોઈ ગેસની જરૂરિયાતો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
ભારતીય ક્રૂની સુરક્ષા અને કૂટનીતિનો વિજય
‘જગ વસંત’ જહાજને BPCL દ્વારા ચાર્ટર્ડ કરવામાં આવ્યું છે, જ્યારે ‘પાઈન ગેસ’નું સંચાલન IOC દ્વારા કરવામાં આવી રહ્યું છે. બંને જહાજો પર ભારતીય ક્રૂ સભ્યો તૈનાત છે. યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને ઘણા દેશોના જહાજો પર હુમલાની ધમકી આપી હતી, જેના કારણે હોર્મુઝમાં શિપિંગ ટ્રાફિક નહિવત થઈ ગયો છે. અગાઉ જ્યાં દરરોજ 100થી વધુ જહાજો પસાર થતા હતા, ત્યાં હવે ગણ્યાગાંઠ્યા જહાજો જ જોવા મળે છે. આવી સ્થિતિમાં ભારતની “મલ્ટી-એલાઈનમેન્ટ” વિદેશ નીતિ અને મોદી સરકારની કૂટનીતિને કારણે ભારતીય જહાજોને ઈરાની નેવીના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત રસ્તો મળ્યો છે.
ઉર્જા સુરક્ષા અને મોંઘવારીની ચિંતા
ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગ દ્વારા આયાત કરે છે. જો આ યુદ્ધ લાંબુ ચાલે તો ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. ભારત સરકારે હોર્મુઝમાં ફસાયેલા પોતાના 20થી વધુ જહાજો માટે સુરક્ષિત માર્ગની માંગ કરી હતી, જે અંતર્ગત અગાઉ ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ જેવા જહાજો પણ સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા છે. આ જહાજો ટૂંક સમયમાં મુન્દ્રા અથવા કોચીન જેવા ભારતીય બંદરો પર પહોંચશે તેવી અપેક્ષા છે.

