વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં કામ કરતા 800 હંગામી કર્મચારીઓને કાયમી કરવાને બદલે આઉટસોર્સિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવતા આજે આ હંગામી કર્મચારીઓએ ડેરીડેન સર્કલથી કાલાઘોડા સર્કલ સુધી માનવ સાંકળ રચીને યુનિવર્સિટીના નિર્ણયનો ભારે સૂત્રોચ્ચારો કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
આ કર્મચારીઓ દ્વારા આઉટસોર્સિંગના ટેન્ડરની પ્રક્રિયા રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા 25 વર્ષથી 800 જેટલા કર્મચારીઓ હંગામી ધોરણે કામ કરે છે જેઓને અનેક રજુઆતો બાદ પણ કાયમી કરવામાં આવતા નથી.
સરકારે અવારનવાર મહેકમને આધિન જગ્યાઓ આપી છે, પણ 5થી 7 લોકોને નોકરી આપીને બાકીની જગ્યાઓ ભરી નથી. આ યુનિવર્સિટી તંત્રની બેદરકારી અને તેમની અણઆવડતને કારણે આ જગ્યા ભરાઈ નથી અને તેની સામે તેઓએ આઉટસોર્સિંગની નવી પદ્ધતિ ઉભી કરીને તમામ હંગામી કર્મચારીઓને આઉટસોર્સિંગના માધ્યમથી મુકવામાં આવનાર છે. જેનોઆજે માનવ સાંકળ રચીને વિરોધ કરવામાં આવ્યો હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતુ.