વડોદરામાં બનેલી આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો મુજબ દુમાડ ગામના ચિરાગસિંહ મોહનસિંહ છાસટીયા (ઉં.વ.38) મંજુસર જી.આઇ.ડી.સી.માં ગેસ સિલીન્ડર ટ્રકોમાંથી ખાલી કરવાની મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા
હતા તેઓને પણ પોતાનું ઘર હોય તેવું સપનું હતું અને તેથી તેઓએ ગામ પાસે બનેલી સી-201, નિલકંઠ રેસિડેન્સીમાં લોન કરાવી ફ્લેટ લીધો હતો જ્યાં વૃધ્ધ માતા-પિતા, પત્ની અને દીકરી સાથે છેલ્લા બે વર્ષથી રહેતા હતા.
ચિરાગસિંહ છાસટીયાએ પાંચ વર્ષ પહેલાં ગામ પાસે નવી બની રહેલી નિલકંઠ રેસિડેન્સીમાં 1 BHK (બે રૂમ રસોડું) મકાન રૂપિયા 12 લાખમાં લીધું હતું.
આ ફ્લેટ ખરીદવા માટે તેઓએ પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા 11 લાખની હોમ લોન લીધી હતી. તેઓને સરકારની યોજના મુજબ મકાન પેટે સબસિડી પણ મળી હતી. જે તે સમયે મજૂરી કામ સારું ચાલતું હોવાથી, તેઓ લોનનો માસિક હપ્તો રૂપિયા 8,918 નિયમીત ભરતા હતા.
જોકે, છેલ્લા કેટલાંક સમયથી ચિરાગસિંહ છાસટીયાને માસિક ખર્ચ પૂરો કરી શકાય તેટલી આવક આવતી ન હોવાથી વૃધ્ધ માતા-પિતા, દીકરીનો અભ્યાસનો ખર્ચ અને કમરતોડ મોંઘવારીમાં ઘરનું ગુજરાન ઉપરાંત હોમ લોનના હપ્તા ચૂકવવા માટે મુશ્કેલ થઇ ગયું હતું. જરૂરીયાત મુજબની આવક આવતી બંધ થઇ જતાં હોમ લોનના ચાર જેટલા હપ્તા ભરી શક્યા ન હતા. આથી તેઓ સતત ટેન્શનમાં રહેતા હતા.
ફાઇનાન્સ કંપની દ્વારા ચિરાગસિંહને બાકી EMI ભરી દેવા માટે ફોન પણ કરતા હતા. પરંતુ, તેઓ કોઇને કોઇ કારણ આપીને સમય પસાર કરી દેતા હતા. જોકે, તેઓને ડર હતો કે, હપ્તા વધી જશે તો બેંક મકાનને સીલ મારી દેશે. જેના કારણે તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને 16 જુલાઇની રાત્રે તેઓએ આપઘાત કરી લેતા પરિવાર રઝળી પડ્યો છે કારણ કે ઘરમાં કમાનાર કોઈ નહિ હોવાથી પરિવાર રઝળી પડ્યો છે અને પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.
બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે.