વડોદરાઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ રહ્યો છે ત્યારે હવે ગામોમાં કોરોના વાયરસ આતંક મચાવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં વડોદરા જિલ્લાના એક ગામમાં 15 લોકોના ટપોટપ મોત થતાં આખા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકો ડરી ડરીને જીવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે વડોદરાના પાદરાના ચોંકારી ગામે એક દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 24 જ કલાકમાં ટપોટપ લોકોના મોતથી આખા ગામમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે આ ગામમાં 100થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. એવામાં ગામના લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઉકાળા તથા હોમિયોપેથીક દવાઓના કેમ્પ યોજવામાં આવ્યા છે. ગામમાં 24 જ કલાકમાં આટલી બધી મોતના કારણે લોકોની માંગણી છે કે તંત્રએ હવે આ ગામમાં વધારે ધ્યાન આપવું જોઈએ.
ભારત અત્યારે કોરોના વાયરસની બીજી ભયંકર લહેરનો સામનો કરી રહ્યો છે. આ લહેરમાં છેલ્લા ઘણા દિવસથી દરરોજ ત્રણથી ચાર લાખ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડનો અભાવ અને ઑક્સીજન મળી નથી રહ્યો તથા પ્રજા પારવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે આ સંકટ વહેલા જાય તેવી પ્રાર્થના દેશભરના નાગરિકો કરી રહ્યા છે.
કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સતત ત્રીજા દિવસે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધી છે. રાજ્યમાં 12 હજાર 64 નવા કેસ નોંધાયા છે જ્યારે સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા 13 હજાર 85 રહી છે. આમ, સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા વધારે છે.તો કોરોનાથી 119 દર્દીઓના મૃત્યુ થયા છે.