આદિવાસી સમાજ હવે વિકાસયાત્રામાં સક્રિય સહભાગી, મંત્રી નરેશભાઈ પટેલનો સંકલ્પ
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ અને પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ₹51.35 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ‘આદર્શ નિવાસી શાળા (મિશ્ર)’ નું ભવ્ય ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આદિવાસી સમાજ હવે વિકાસની યાત્રામાં માત્ર લાભાર્થી જ નહીં, પરંતુ સક્રિય ભાગીદાર બન્યો છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાનોને કારણે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.
આધુનિક સુવિધાઓથી સજ્જ શૈક્ષણિક સંકુલ અને નિવાસી વ્યવસ્થા
૨૦ હજાર ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ સંકુલમાં ૪૮૦ વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ક્લાસરૂમ અને આધુનિક લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાશે. ખાસ વાત એ છે કે અહીં અભ્યાસની સાથે ૩૨૦ વિદ્યાર્થીઓ (૧૬૦ કુમાર અને ૧૬૦ કન્યા) માટે રહેણાંક હોસ્ટેલ, કિચન, ડાયનિંગ હોલ અને સ્ટાફ ક્વાર્ટર્સની વ્યવસ્થા પણ એક જ સ્થળે પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓ આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત પાયો સાબિત થશે.
છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાની કટિબદ્ધતા
રમતગમત અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ અને આરોગ્ય સહિતની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા મક્કમ છે. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ પણ તાપી જિલ્લાની વિકાસગાથા રજૂ કરી આ પ્રોજેક્ટને આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્યો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
યોજનાકીય લાભોનું વિતરણ અને સખી મંડળોનું સન્માન
ખાતમૂહૂર્ત બાદ મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે સખી મંડળોને આર્થિક સહાયના ચેક અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, કલેક્ટર તંત્રના અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

