Valsad: તા.૯-૯-૧૭ ના રોજ થી ડાંગના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ સાપુતારા ખાતે પૂજ્ય મોરારીબાપુએ માનસ પિતૃદેવો ભવ (૮૧૭-કથા ક્રમ) રામકથાના ગાન કર્યા બાદ લગભગ 7 વર્ષે ફરીથી આદિવાસી વિસ્તારના વનવાસી લોકો માટે પૂજ્ય બાપુ ધરમપુર તાલુકાના ખાંડા ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે તા.૯/૪-મંગળવારથી રામકથા નો પ્રારંભ કરી રહ્યા છે, જેના માટે સમગ્ર ધરમપુર અને કપરાડાના વન વગડાના ગામોમાં આદિવાસી લોકો પ્રભુ શ્રીરામ-મોરારીબાપુની ભારે પ્રતીક્ષા કરી રહ્યા છે.
ધરમપુર વાંસદા ઈએસએચ-૫ ના આંબા તલાટ ફાટકથી સાત કિલોમીટર પૂર્વમાં ખાંડા આદિવાસી વસ્તીનું નાનકડુ ગામડું છે જ્યાં અછતની ભરમાર છે પરંતુ રામકથાના આયોજનના લીધે આ વિસ્તારની કાયાપલટ થઈ રહી છે, સ્થાનિક ખાન્ડાવાસીઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તે છે.
પાંચેક એકરના ખેતરમાં ભવ્ય રામકથા પંડાલ ઉભો કરવામાં આવ્યો છે જેની પશ્ચિમે હજારો શ્રોતાઓ માટે ભોજન પ્રસાદ ઘર બનાવાયું છે. પૂજ્ય બાપુ નો રાતવાસો-ઉતારો ત્રણેક કિલોમીટર દૂર ખોરી ફળિયા-ખાંડામાં નાનકડી વાડીમાં કુટિર નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં બાપુ વિશ્રામ લેશે.
રામકથા સ્થળે આવવા માટે વાંસદા તરફથી આવનારા ખાનપુર ચોકડી પાસે ડાબેથી સીધા આવી શકશે. બરુમાળથી પણ વાયા લુહેરી સાવરમાળ થઈને આવી શકાશે. મહારાષ્ટ્રની સરહદથી બોપી હનમતમાળ વિગેરે ૩૦ થી વધુ ગ્રામ વાસીઓ કથા શ્રવણ માટે પધારશે. જેઓના મનોરંજન માટે મોટી ચકડોળ વિગેરે સાધનો પણ લગાવાયા છે.
પૂજ્ય મોરારીબાપુની 24 ફેબ્રુઆરીએ થયેલ અયોધ્યા ખાતેની રામલલ્લા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પછીની રામકથા માનસ રામ મંદિર-થી સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રી રામ પ્રત્યેની આસ્થામાં લોકોમાં ભારે ઉછાળો આવ્યો છે. હાલમાં જ કચ્છ ખાતે વિરામ લીધેલ માનસ મનોરથ કથા દ્વારા પૂજ્ય બાપુએ કચ્છ જિલ્લાના તમામ ગામોમાં ઘરે ઘર ભગવાન શ્રી રામજીની તસવીર લગાવડાવી છે. પોતાના ગામ તલગાજરડા માં પણ ઘરે ઘર રામચંદ્ર ભગવાન બિરાજ્યા છે. હવે આ સમગ્ર આદિવાસી વિસ્તાર પણ પૂજ્ય બાપુ દ્વારા રામમય બનશે.
ખાન્ડાની રામકથા ને સુપેરે સંપન્ન કરવા માટે બારડોલી સ્વરાજ આશ્રમના સંચાલક નિરંજનાબેન ના સુપુત્રી ડૉ. પ્રજ્ઞા કલાર્થી સાથે ખાંડા ગામના સરપંચ જેસિંગભાઈ, ઉપસરપંચ પ્રકાશ, શિક્ષક વિષ્ણુભાઈ રામભાઈ, ઉત્તમભાઈ, બિસ્તુભાઈ સાથે પરેશભાઈ ફાફડા વાળા નરેન્દ્ર અને શૈલેન્દ્ર વિશેષ જહેમત સતત ઉઠાવી રહ્યા છે. આ રામકથા દરમિયાન ખાંડા ગામની રામટેકરી ખાતે સુંદર નિર્માણ પામેલ નાનકડા રામજી મંદિરની પણ કથાના છેલ્લા દિવસોમાં પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કરવામાં આવશે જેમાં બાપુ વિશેષ આશીર્વાદ પાઠવશે. દરેક ઘરે વનવાસીઓને શ્રી રામચરિત માનસ અને શ્રી ભગવદ ગીતા ના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે. જે પુસ્તકની બે પ્રત આ નવીન રામ મંદિરમાં મૂકવામાં આવી છે.રામકથા દ્વારા ખાંડામાં જંગલ મે મંગલ જેવી દિવ્ય અનુભૂતિનું નિર્માણ થશે.