નેપાળમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ: તોફાનીઓએ પોલીસની ગાડી સળગાવી, અચોક્કસ મુદતનો કર્ફ્યુ લાદવામાં આવ્યો
ભારતના પાડોશી દેશ નેપાળના રૌતહટ જિલ્લામાં ડીજે વગાડવા જેવી મામૂલી બાબતે બે સમુદાયો વચ્ચે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. એક લગ્ન સમારોહમાં વગાડવામાં આવી રહેલા જોરદાર સંગીતને કારણે મસ્જિદ પાસે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં પથ્થરમારો, આગજની અને તોડફોડમાં ફેરવાઈ ગઈ હતી. સ્થિતિ એટલી હદે વણસી કે તોફાનીઓએ પોલીસના વાહનને પણ આગને હવાલે કરી દીધું હતું, જેના પગલે પ્રશાસને સમગ્ર વિસ્તારમાં અચોક્કસ મુદતનો કર્ફ્યુ લાદી દીધો છે.
ડીજે વગાડવા બાબતે શરૂ થયો વિવાદ
આ ઘટના મધેશ પ્રાંતના રૌતહટ જિલ્લાના ગૌર નગરપાલિકા હેઠળના સનગઢ ગામમાં બની હતી. મળતી માહિતી મુજબ, ગુરુવારે (19 ફેબ્રુઆરી) રાત્રે એક હિન્દુ લગ્ન પ્રસંગની જાન મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે મસ્જિદમાં નમાઝનો સમય હોવાથી બીજા સમુદાયના લોકોએ ડીજે બંધ રાખવા માટે કહ્યું હતું. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ અને જોતજોતામાં મામલો ગરમાયો હતો. આરોપ છે કે કેટલાક લોકો સાથે મારામારી પણ કરવામાં આવી હતી.
પથ્થરમારો અને પોલીસની ગાડીમાં આગજની
ગુરુવારે રાત્રે શરૂ થયેલો આ વિવાદ શુક્રવારે સવારે ફરી વકર્યો હતો. બંને પક્ષો વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ અશાંતિ ફેલાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા તોફાનીઓએ પોલીસ પર પણ હુમલો કર્યો અને તેમની ગાડી સળગાવી દીધી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. અત્યાર સુધીમાં 18 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે.
અચોક્કસ મુદતનો કર્ફ્યુ અને કડક પાબંદીઓ
બગડતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગૌર-6 અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં નિષેધાજ્ઞા લાગુ કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, બપોરના 1 વાગ્યાથી અચોક્કસ મુદત સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન કોઈપણ પ્રકારની સભા, સરઘસ, રેલી, ધરણા કે સૂત્રોચ્ચાર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

