ગુજરાતમાં ૪ માર્ચથી ૧૫ મે સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી થશે
કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ (MSP) રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા રાજ્યભરમાં ટેકાના ભાવે ઘઉં ખરીદવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
નોંધણી પ્રક્રિયા અને સમયમર્યાદા
ટેકાના ભાવે ઘઉં વેચવા ઈચ્છતા ખેડૂતોએ નીચે મુજબના સમયપત્રકનું પાલન કરવાનું રહેશે:
-
નોંધણીનો સમયગાળો: તા. ૦૧ ફેબ્રુઆરી થી તા. ૦૧ માર્ચ, ૨૦૨૬ સુધી.
-
નોંધણીનું સ્થળ: ગ્રામીણ કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મારફતે ઓનલાઇન.
-
ખરીદીનો સમયગાળો: તા. ૦૪ માર્ચ થી તા. ૧૫ મે, ૨૦૨૬ સુધી.
-
પદ્ધતિ: ખેડૂતોની નોંધણી અને જથ્થાની ખરીદી બંને સમયે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (અંગૂઠાનું નિશાન) ફરજિયાત રહેશે.
જરૂરી દસ્તાવેજો અને સાવચેતી
નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ નીચે મુજબના અસલ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે:
૧. ઓળખનો પુરાવો: આધાર કાર્ડની નકલ.
૨. જમીનના પુરાવા: અદ્યતન ૭/૧૨ અને ૮-અ ના ઉતારા. જો ૭/૧૨ માં પાકની નોંધ ન હોય તો તલાટીનો સહી-સિક્કાવાળો વાવણીનો દાખલો.
૩. બેંક વિગતો: બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક.
૪. ચેતવણી: ડોક્યુમેન્ટ ચકાસણીમાં જો કોઈ ભૂલ અથવા ખોટા દસ્તાવેજ જણાશે, તો ખેડૂતની નોંધણી રદ કરવામાં આવશે અને તેમને ખરીદી માટે બોલાવવામાં આવશે નહીં.
નોંધણી થયા બાદ ખેડૂતોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. વધુ માહિતી કે મુશ્કેલી માટે ખેડૂતો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે.

