શું કાચું ખાવાથી પેટ ફૂલે છે? ડૉક્ટર પાસેથી જાણો પાચન સુધારવાની સાચી રીત
આજના સમયમાં આપણે બધા જ ‘હેલ્ધી ડાયેટ’ના જમાનામાં જીવી રહ્યા છીએ. સવારના નાસ્તામાં ઓવરનાઈટ ઓટ્સ, બપોરે ભરપૂર સલાડ, સ્મૂધીઝ, પ્રોટીન બાર, શુગર-ફ્રી સ્નેક્સ અને ગ્રીન જ્યુસ—આ બધી જ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે. પરંતુ ઘણા લોકો એવી ફરિયાદ કરે છે કે આટલું સ્વસ્થ ખોરાક ખાવા છતાં તેમને પેટ ફૂલવું (Bloating), પેટમાં ભારેપણું કે અસ્વસ્થતા અનુભવાય છે. શું તમને પણ આવું થાય છે? જો હા, તો તમે એકલા નથી. આ વિષય પર હોસ્મેટ હોસ્પિટલના સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી, હિપેટો-બિલિયરી પેનક્રિયાટિક સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. સુશ્રુત સી.એસ.એ મહત્વની જાણકારી આપી છે.

પેટ ફૂલવું એ માત્ર વધુ પડતું ખાવાનું પરિણામ નથી
ડો. સુશ્રુત સમજાવે છે કે પેટ ફૂલવાની સમસ્યા હવે માત્ર વધુ પડતું ખાવાથી કે ખોરાકની પસંદગી બગડવાથી થતી નથી. અત્યારના સંશોધનો દર્શાવે છે કે આ સમસ્યા પાછળ આપણા ગટ માઈક્રોબાયોમ (આંતરડાના બેક્ટેરિયા), માનસિક તણાવ, ખાવાની પદ્ધતિ, ફૂડ ઈન્ટોલરન્સ અને જીવનશૈલી જેવા અનેક જટિલ કારણો જવાબદાર છે. ‘ધ લેન્સેટ ગેસ્ટ્રોએન્ટેરોલોજી એન્ડ હેપેટોલોજી’ના અભ્યાસ મુજબ, વિશ્વની લગભગ 40% વસ્તી પાચન સંબંધિત સમસ્યાઓથી પીડાય છે, જેમાં ‘બ્લોટિંગ’ સૌથી સામાન્ય લક્ષણ છે, ખાસ કરીને મહિલાઓમાં.
‘હેલ્ધી’ ખોરાક હંમેશા ‘પચવામાં સરળ’ હોતો નથી
આપણે એવું માની લઈએ છીએ કે જે ખોરાક હેલ્ધી છે, તે પચવામાં પણ સરળ જ હશે. પરંતુ આ સૌથી મોટી ગેરસમજ છે. ડો. સુશ્રુત કહે છે, “આંતરડાના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે ફાઈબરયુક્ત ખોરાક જેમ કે ઓટ્સ, કાચા શાકભાજી, કઠોળ, ફળો અને આખા અનાજ લેવા ખૂબ જરૂરી છે. પરંતુ, ફાઈબર મોટા આંતરડામાં બેક્ટેરિયા દ્વારા આથો (Fermentation) લાવે છે, જેનાથી કુદરતી રીતે ગેસ ઉત્પન્ન થાય છે.”
જો તમે અચાનક તમારા આહારમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારી દો, તો તમારા આંતરડા તેને ઝડપથી સ્વીકારી શકતા નથી, જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા થાય છે. જે લોકો પહેલા લો-ફાઈબર ડાયેટ લેતા હતા, તેઓ જો એકદમ સલાડ કે હાઈ-પ્રોટીન ડાયેટ પર શિફ્ટ થાય, તો તેમને શરૂઆતમાં ચોક્કસપણે અસ્વસ્થતા અનુભવાશે.
FODMAP અને ‘ડાયેટ’ ખોરાકની છૂપી અસરો
તમે કદાચ FODMAP વિશે સાંભળ્યું હશે. આ એવા ફર્મેન્ટેબલ કાર્બોહાઈડ્રેટ્સ છે જે ડુંગળી, લસણ, સફરજન, કઠોળ, ઘઉં અને દૂધ જેવા હેલ્ધી ખોરાકમાં હોય છે. કેટલાક લોકોના આંતરડા આ કાર્બોહાઈડ્રેટ્સને બરાબર પચાવી શકતા નથી, જેથી તે આંતરડામાં આથો બનીને ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા પેદા કરે છે. ખાસ કરીને ઘઉંમાં જોવા મળતું ‘ફ્રક્ટન્સ’ ઘણીવાર ગ્લુટેન કરતાં પણ વધુ જવાબદાર હોય છે.

આ ઉપરાંત, પ્રોટીન બાર કે શુગર-ફ્રી પ્રોડક્ટ્સમાં વપરાતા આર્ટિફિશિયલ સ્વીટનર્સ (જેમ કે સોર્બિટોલ, ઝાયલિટોલ અને એરિથ્રિટોલ) બ્લોટિંગ માટે સૌથી વધુ બદનામ છે. આ તત્વો આંતરડામાં આંશિક રીતે જ પચે છે, જે પાચનની ગંભીર સમસ્યાઓ નોતરે છે.
શું કાચું ખાવું વધુ સારું છે?
પોષણની દ્રષ્ટિએ ડોક્ટરો ચેતવણી આપે છે કે કાચો ખોરાક ઘણીવાર રાંધેલા ખોરાક કરતા પચવામાં વધુ અઘરો હોય છે. દાખલા તરીકે, બ્રોકોલી, કોબીજ અને ફ્લાવર જેવા શાકભાજી જ્યારે કાચા ખાવામાં આવે ત્યારે તે જટિલ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે આંતરડામાં વધુ પડતો આથો લાવે છે. તેને રાંધવાથી તે થોડા સરળ બને છે અને પચવામાં સરળતા રહે છે.
તણાવ અને જીવનશૈલીની ભૂમિકા
આપણું મગજ અને પાચનતંત્ર એકબીજા સાથે જોડાયેલા છે (Gut-Brain Axis). સતત રહેતો તણાવ, ચિંતા, ઊંઘનો અભાવ અને બેઠાડુ જીવન સીધી રીતે પાચનને અસર કરે છે. તણાવને કારણે પાચનતંત્રમાં લોહીનું પરિભ્રમણ ઘટે છે અને પાચનની ગતિ ધીમી પડે છે. આ ઉપરાંત, મીટિંગમાં હોય કે ફોન સ્ક્રોલ કરતા કરતા ઝડપથી જમવાથી આપણે ખોરાકને બરાબર ચાવતા નથી અને સાથે વધારાની હવા પણ ગળી જઈએ છીએ, જે બ્લોટિંગનું મુખ્ય કારણ બને છે.
ક્યારે ડૉક્ટરને બતાવવું?
દરેક વાર પેટ ફૂલે તો તેને સામાન્ય ન ગણવું. જો તમને સતત પેટ ફૂલતું હોય, વજન ઘટી રહ્યું હોય, અસહ્ય દુખાવો, ઉલટી કે એનિમિયા જેવી સમસ્યાઓ હોય, તો આ ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS), લેક્ટોઝ ઈન્ટોલરન્સ, સીલિયાક ડિસીઝ કે થાઈરોઈડ જેવી કોઈ ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે.