શી જિનપિંગની લશ્કર પર મોટી સ્ટ્રાઈક: સેનાના 9 વરિષ્ઠ અધિકારીઓને સંસદમાંથી બહારનો રસ્તો દેખાડ્યો
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાનના નામે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. ચીનની મહત્વની વાર્ષિક રાજકીય બેઠકો ‘ટુ સેશન્સ’ (Two Sessions) શરૂ થાય તે પહેલા જ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના 9 વરિષ્ઠ અધિકારીઓને દેશની સંસદ એટલે કે નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC) માંથી હટાવી દેવામાં આવ્યા છે. કુલ 19 સભ્યોની સદસ્યતા રદ કરવામાં આવી છે, જેમાંથી અડધા જેટલા લશ્કરી અધિકારીઓ છે.
કયા સ્તરના અધિકારીઓ પર ગાજ પડી?
ચીની સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, સંસદની સ્થાયી સમિતિએ આ આકરી કાર્યવાહી કરી છે. હટાવવામાં આવેલા 9 સૈન્ય અધિકારીઓમાં:
- 2 એડમિરલ
- 4 મેજર જનરલ
- 2 જનરલ
- 1 લેફ્ટનન્ટ જનરલ નો સમાવેશ થાય છે.
આ અધિકારીઓની હકાલપટ્ટી બાદ હવે NPC માં સભ્યોની સંખ્યા ઘટીને 2,878 રહી ગઈ છે. આ પગલું આગામી 4 અને 5 માર્ચથી શરૂ થનારી વાર્ષિક બેઠકોમાં શી જિનપિંગની પકડ વધુ મજબૂત કરવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
સેન્ટ્રલ મિલિટરી કમિશન (CMC) માં પણ ફેરફાર
નોંધનીય છે કે ગયા મહિને ઝાંગ યુક્સિયા અને જનરલ લિયુ ઝેનલી જેવા દિગ્ગજ અધિકારીઓને પણ ગંભીર શિસ્તભંગ અને કાયદાના ઉલ્લંઘનના આરોપસર તપાસ હેઠળ લેવામાં આવ્યા હતા. આ અધિકારીઓને ચીનની સર્વોચ્ચ લશ્કરી સંસ્થા ‘સેન્ટ્રલ મિલિટરી કમિશન’ (CMC) માંથી પણ દૂર કરવામાં આવ્યા છે. હવે આ પાવરફુલ કમિશનમાં માત્ર રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને શિસ્ત સચિવ ઝાંગ શેંગમિન જ બચ્યા છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન કે સત્તાનું શુદ્ધિકરણ?
2013 માં સત્તા સંભાળ્યા પછી, શી જિનપિંગે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી અને સેનામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટું અભિયાન ચલાવ્યું છે. જોકે, વિશ્લેષકો માને છે કે આ બહાને તેઓ પોતાના વિરોધીઓને દૂર કરી રહ્યા છે. એક અભ્યાસ મુજબ, 2022 થી અત્યાર સુધીમાં અંદાજે 101 જનરલ અને લેફ્ટનન્ટ જનરલ કક્ષાના અધિકારીઓને કાં તો પદ પરથી હટાવી દેવાયા છે અથવા તો તેઓ જાહેર જીવનમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે.
યુદ્ધ ક્ષમતા પર પડી શકે છે અસર
નિષ્ણાતોના મતે, સેનાના ઉચ્ચ નેતૃત્વમાં આ રીતે પડતી ખાલી જગ્યાઓ ચીનની ભાવિ સૈન્ય ક્ષમતા પર અસર કરી શકે છે. ખાસ કરીને જો ચીન તાઇવાન વિરુદ્ધ કોઈ સૈન્ય અભિયાન શરૂ કરવાનું વિચારે, તો નેતૃત્વના અભાવે મેદાનમાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ હટાવવામાં આવેલા અધિકારીઓની જગ્યા ક્યારે અને કોણ લેશે.

