U19 વર્લ્ડ કપ જીતવા પર BCCI એ તિજોરી ખોલી, ટીમ માટે 7.5 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર
ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમે શુક્રવારે ICC U19 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીતીને દેશને ગૌરવની ક્ષણ આપી છે. ફાઈનલ મુકાબલામાં ભારતે ઈંગ્લેન્ડને 100 રને હરાવીને છઠ્ઠી વખત આ પ્રતિષ્ઠિત ટ્રોફી પોતાના નામે કરી છે. આ ઐતિહાસિક જીત બાદ BCCI એ ટીમ માટે 7.5 કરોડ રૂપિયા ના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.
BCCI એ કરી શાનદાર પ્રશંસા
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, “સમગ્ર ટૂર્નામેન્ટમાં આપણી ટીમ અજેય રહી અને ફાઈનલમાં ઈંગ્લેન્ડને કારમી હાર આપી. આ ખેલાડીઓની મહેનત અને ઉત્કૃષ્ટ પ્રદર્શનનું ફળ છે. અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ અને આ માટે 7.5 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવી રહ્યું છે.”
સૈકિયાએ જણાવ્યું કે આ પુરસ્કાર ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ જીતે દેશમાં યુવા ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ અને ભરોસો વધુ મજબૂત કર્યો છે.
વડાપ્રધાન મોદીએ પાઠવી વધામણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને અભિનંદન આપતા કહ્યું, “ભારતની યુવા ક્રિકેટ પ્રતિભા ચમકી રહી છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ જીત આવનારા ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે.”
ફાઈનલ મેચનો રોમાંચ
ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 411 રન બનાવ્યા હતા. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ માત્ર 80 બોલમાં 175 રન બનાવીને રમતનું પાસું પલટી નાખ્યું હતું. તેની ઈનિંગમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા સામેલ હતા.
કેપ્ટન આયુષ મ્હાત્રેએ 51 બોલમાં 53 રન બનાવ્યા, જ્યારે અભિજ્ઞાન કુંડુએ 31 બોલમાં 40 રનની ઝડપી ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી કાલેબ ફાલ્કનરે 115 રન બનાવ્યા હતા, પરંતુ ભારતના 412 રનના વિશાળ લક્ષ્યાંક સામે ટીમ સંઘર્ષ કરી શકી નહીં અને 311 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ફાઈનલમાં કુલ 31 છગ્ગા ફટકાર્યા, જે અન્ડર-19 વનડે ફાઈનલનો નવો રેકોર્ડ છે.
ભારતનું વર્ચસ્વ યથાવત
આ જીત સાથે ભારતે અત્યાર સુધી 2000, 2008, 2012, 2018, 2022 અને 2026 માં અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. બીજી તરફ ઈંગ્લેન્ડને 1998 પછી હજુ સુધી આ ખિતાબ હાંસલ થયો નથી.
આ ઐતિહાસિક જીતે માત્ર ભારતીય યુવા ક્રિકેટની તાકાત સાબિત નથી કરી, પરંતુ ખેલાડીઓના મનોબળ અને દેશની યુવા પ્રતિભાઓના વિકાસમાં નવી ઉર્જા પણ ભરી દીધી છે.

