ITR-1 થી ITR-7 સુધીમાં મોટો ફેરફાર! સરકારે જાહેર કર્યો નવા ઈન્કમ ટેક્સ નિયમોનો ડ્રાફ્ટ
ભારત સરકાર દ્વારા કરવેરાના માળખાને વધુ સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવાના હેતુથી ‘ઈન્કમ ટેક્સ નિયમો ૨૦૨૬’ નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય કરચોરી અટકાવવાનો અને કરદાતાઓ પાસે વધુ સ્પષ્ટ વિગતો મેળવવાનો છે. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી આ ડ્રાફ્ટ પર જાહેર જનતા અને નિષ્ણાતોના સૂચનો માંગવામાં આવ્યા છે. ત્યારબાદ ૧ એપ્રિલ ૨૦૨૬થી આ નિયમો કાયદેસર રીતે અમલમાં આવશે.
૧. ITR-1 (સહજ): સરળતા જળવાઈ રહેશે, પણ ડિજિટલ મોડ ફરજિયાત
ITR-1 હજુ પણ મધ્યમ વર્ગ અને પગારદાર લોકો માટે સૌથી લોકપ્રિય ફોર્મ રહેશે. જેઓની આવક પગાર, એક ઘરની મિલકત કે વ્યાજ જેવી મર્યાદિત શ્રેણીમાં છે, તેઓ જ આ ફોર્મ ભરી શકશે.
મોટો ફેરફાર: હવે કાગળ પર રિટર્ન ફાઇલ કરવાની સુવિધા માત્ર ૮૦ વર્ષથી ઉપરના સુપર સિનિયર સિટીઝન માટે જ રહેશે. અન્ય તમામ માટે EVC અથવા ડિજિટલ હસ્તાક્ષર દ્વારા ઓનલાઈન ફાઇલિંગ અનિવાર્ય છે.
૨. ITR-2 અને ITR-3: જટિલ કેસમાં વધુ ખુલાસા
જે કરદાતાઓ ITR-1 ની મર્યાદા બહાર આવે છે (દા.ત. એકથી વધુ મકાન કે મૂડી લાભ), તેમણે હવે ITR-2 ભરવું પડશે. નવા ડ્રાફ્ટમાં વિદેશી આવક અને વિદેશી સંપત્તિના રિપોર્ટિંગને અત્યંત કડક બનાવવામાં આવ્યું છે. જ્યારે વ્યાવસાયિકો અને વેપારીઓ માટેનું ITR-3 હવે વધુ વિસ્તૃત માહિતીની માંગ કરશે, જેમાં બિઝનેસ ટ્રાન્ઝેક્શનની ઊંડી વિગતો આપવી પડશે.
૩. ITR-4 (સુગમ) પર કડક કાતર
નાના વેપારીઓ જે અનુમાનિત કરવેરા (Presumptive Taxation) હેઠળ રિટર્ન ભરતા હતા, તેમના માટે ITR-4 હવે પહેલા જેવું ‘સુગમ’ રહ્યું નથી. ડ્રાફ્ટ નિયમો મુજબ, જો તમારી પાસે નીચે મુજબની કોઈપણ સ્થિતિ હોય, તો તમે ITR-4 ભરી શકશો નહીં:
વાર્ષિક આવક ₹૫૦ લાખથી વધુ હોય.
વિદેશમાં કોઈપણ સંપત્તિ કે આવક ધરાવતા હોવ.
કોઈ કંપનીમાં ડાયરેક્ટર હોવ અથવા અનલિસ્ટેડ શેરમાં રોકાણ હોય.
કૃષિ આવક ₹૫,૦૦૦ થી વધુ હોય.
આ ફેરફારને કારણે હવે અનેક નાના વેપારીઓએ ફરજિયાતપણે ITR-3 તરફ વળવું પડશે, જેમાં હિસાબોની વધુ વિગતોની જરૂર પડશે.
૪. કોર્પોરેટ અને ટ્રસ્ટ માટે સખ્ત વ્યવસ્થા (ITR-5, 6, 7)
કંપનીઓ અને ફર્મ માટે ITR-5 અને 6 માં ડિજિટલ ઓડિટ રિપોર્ટિંગને પ્રાથમિકતા આપવામાં આવી છે. બીજી તરફ, ITR-7 ભરતા ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજકીય પક્ષો માટે મુશ્કેલી વધી શકે છે. દાનની સંપૂર્ણ વિગતો અને ભંડોળ ક્યાં ખર્ચાયું તેની એક-એક પાઈની માહિતી રિટર્ન સાથે લિંક કરવી પડશે. કોઈપણ નાની ભૂલ કરમુક્તિ (Tax Exemption) છીનવી શકે છે.
સરકારનો મુખ્ય હેતુ શું છે?
નવો ડ્રાફ્ટ સ્પષ્ટ કરે છે કે સરકાર હવે ડેટા ઈન્ટિગ્રેશન પર ભાર મૂકી રહી છે. તમારી બેંકિંગ વિગતો, વિદેશી પ્રવાસ, રોકાણ અને મિલકતની માહિતી હવે રિટર્ન ફોર્મમાં ‘પ્રી-ફિલ્ડ’ અથવા ક્રોસ-ચેક થયેલી હશે. આનાથી કરચોરીની શક્યતા નહિવત્ થઈ જશે અને પ્રમાણિક કરદાતાઓ માટે લાંબે ગાળે પ્રક્રિયા ઝડપી બનશે.
કરદાતાઓ અને પ્રોફેશનલ્સ પાસે હવે ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીનો સમય છે આ ફોર્મ્સની સમીક્ષા કરવાનો. જો તમે સામાન્ય કરદાતા હોવ તો પણ, આવતા વર્ષથી તમારે તમારા નાણાકીય દસ્તાવેજો અને રોકાણની વિગતો વધુ વ્યવસ્થિત રીતે રાખવી પડશે.

