ભારતમાં કેન્સરના કેસ વધ્યા; શરૂઆતના લક્ષણો ઓળખવા એ મોટો પડકાર
ભારતમાં દર વર્ષે આશરે 15 લાખ નવા કેન્સરના કેસ સામે આવી રહ્યા છે, જેના કારણે ભારત વિશ્વના ટોચના ત્રણ દેશોમાં સામેલ થઈ ગયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે કેન્સર ઝડપથી વધી રહ્યું છે, ખાસ કરીને યુવાનોમાં, અને તેનું સૌથી મોટું કારણ શરૂઆતના લક્ષણો પ્રત્યેની બેદરકારી છે.
કેન્સરના શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો ઘણીવાર હળવા અથવા સામાન્ય બીમારી જેવા હોય છે, જેને લોકો અવગણે છે. આ કારણે રોગ અવારનવાર સ્ટેજ III અથવા IV સુધી પહોંચ્યા પછી જ જાણમાં આવે છે.
કેન્સરના ત્રણ શરૂઆતી ચેતવણી સંકેતો
1. સતત થાક અને વજનમાં ફેરફાર: ડોક્ટર વૈશાલી જામરે (ડાયરેક્ટર સર્જિકલ ઓન્કોલોજી, એન્ડ્રોમેડા કેન્સર હોસ્પિટલ, સોનીપત) જણાવે છે કે કોઈપણ કારણ વગર સતત થાક લાગવો, ભૂખમાં ફેરફાર અને વજન ઘટવું એ શરૂઆતના સંકેતો હોઈ શકે છે. જો પેટ ફૂલવું અથવા અપચો જેવી સમસ્યા સતત 2-3 અઠવાડિયા સુધી રહે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
2. વારંવાર થતા નાના લક્ષણો: મળ કે પેશાબમાં લોહી પડવું અથવા તેમાં ફેરફાર, લાંબા સમય સુધી ઠીક ન થતી ખાંસી, અથવા અવાજ સતત બેસી જવો કે ખરાબ થવો જેવા સંકેતો કેન્સર તરફ ઈશારો કરી શકે છે. ઘણીવાર આ લક્ષણો કામચલાઉ લાગે છે, પરંતુ જો તે સતત રહે તો તેને નજરઅંદાજ ન કરવા જોઈએ.
3. દુખાવા વગરની ગાંઠ કે સોજો: શરીરના કોઈપણ ભાગમાં દુખાવા વગરની ગાંઠ બનવી, અચાનક સોજો આવવો અથવા કારણ વગર બ્લીડિંગ થવું જોખમી હોઈ શકે છે. સ્તન (Breast), ગરદન કે ટેસ્ટિકલ્સમાં દેખાતી કોઈપણ નવી ગાંઠને અવગણશો નહીં.
નિષ્ણાતોનો સંદેશ
ડોક્ટર જામરે કહ્યું, “ઘણા લોકો વધતી ઉંમર અથવા લાઈફસ્ટાઈલને કારણે આ લક્ષણોને સામાન્ય માની લે છે. પરંતુ જો કેન્સર વહેલું પકડાઈ જાય, તો તેનો ઈલાજ શક્ય અને સફળ છે. તેથી શરૂઆતી ચેતવણીના સંકેતોને અવગણવા જોખમી સાબિત થઈ શકે છે.”
નિષ્ણાતો સૂચવે છે કે શરૂઆતના લક્ષણો દેખાતાની સાથે જ ડોક્ટર પાસે તપાસ કરાવવી એ સૌથી મહત્વનું પગલું છે. સમયસર ઓળખ અને સારવારથી કેન્સરના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

