યુરિયા વગર પણ સફળ ખેતી શક્ય છે: બુધાભાઈ અને નીતાબેન બારીયાની પ્રાકૃતિક ખેતીની પ્રેરક કહાની
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાનું રામા ગામ આજે પ્રાકૃતિક ખેતીના મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. અહીંના પ્રગતિશીલ ખેડૂત બુધાભાઈ બારીયા અને તેમના પત્ની નીતાબેન બારીયાએ પરંપરાગત રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી ૨૦૧૬થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ‘આત્મા પ્રોજેક્ટ’ અને રાજ્ય સરકારની સહાયથી આ દંપતીએ સાબિત કરી દીધું છે કે જો વૈજ્ઞાનિક પદ્ધતિ અને નિષ્ઠા હોય, તો પથ્થરવાળી જમીન પણ સોનું ઉગાવી શકે છે.
તાલીમથી ટેકનોલોજી સુધીની સફર
બુધાભાઈએ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ પ્રાયોગિક તાલીમ પર ભાર મૂક્યો હતો. તેમણે જોધપુર, જયપુર અને અડાલજ ઉપરાંત હરિયાણાના કુરુક્ષેત્રમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના ફાર્મ પર ૧૦ દિવસની સઘન તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ તેમણે ખેતરમાં યુરિયા અને જંતુનાશકોનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરી દીધો.
પાક વૈવિધ્ય અને આર્થિક સમૃદ્ધિ
આ દંપતી માત્ર અનાજ પર નિર્ભર રહેવાને બદલે સીઝન મુજબ રોકડિયા પાકો અને નર્સરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે:
-
શાકભાજી: ટામેટા, સીમલા મિર્ચ, ભીંડા, રીંગણ અને ગવારનું મબલખ ઉત્પાદન.
-
ફળો: આધુનિક ખેતીના ભાગરૂપે સ્ટ્રોબેરીનું સફળ વાવેતર.
-
નર્સરી: શાકભાજીના તૈયાર રોપા બનાવીને વેચાણ કરવું.
-
આવક: આ તમામ પ્રવૃત્તિઓ થકી તેઓ વાર્ષિક રૂ. ૩ લાખથી વધુની ચોખ્ખી આવક મેળવે છે.
પ્રાકૃતિક ખેતીના પાંચ મોટા ફાયદા
નીતાબેન બારીયાના ૧૦ વર્ષના અનુભવ મુજબ પ્રાકૃતિક ખેતીએ તેમના જીવનમાં નીચે મુજબના પરિવર્તનો આણ્યા છે:
૧. ખર્ચમાં ઘટાડો: યુરિયા કે મોંઘા જંતુનાશકોનો ખર્ચ શૂન્ય થયો.
૨. જમીન સુધારણા: પથ્થરવાળી જમીનમાં ભેજ સંગ્રહવાની શક્તિ વધી અને જમીન પોચી બની.
૩. જળ સંચય: વરસાદના પાણીનો સંગ્રહ થવાથી પાણીના તળ ઊંચા આવ્યા અને પિયતની જરૂરિયાત ઘટી.
૪. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન: કેમિકલ મુક્ત શાકભાજીથી પરિવાર અને ગ્રાહકોને પ્રોટીન-વિટામિનયુક્ત ખોરાક મળે છે.
૫. બમણી આવક: ઉત્પાદન ખર્ચ ઘટતા અને ગુણવત્તા વધતા નફો બમણો થયો.
સરકારી યોજનાઓનો સહયોગ
રાજ્ય સરકારના કૃષિ અને બાગાયત વિભાગ દ્વારા આ ખેડૂત દંપતીને આર્થિક પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે:
-
મોડલ ફાર્મ સહાય: આત્મા પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૩,૫૦૦ ની સહાય.
-
નર્સરી વિકાસ: બાગાયત ખાતા દ્વારા સ્વરોજગાર માટે રૂ. ૨,૨૭,૫૦૦ ની મોટી સબસિડી આપવામાં આવી છે.
આમ, દેવગઢ બારિયાનું આ દંપતી આજે દાહોદના અન્ય ખેડૂતો માટે ‘પ્રેરણા સ્ત્રોત’ બન્યું છે.

