IND vs PAK: ભારત સામેની હાર બાદ શાહિદ અફ્રિદી લાલઘૂમ; ત્રણ દિગ્ગજોને ટીમની બહાર કરવાની કરી માંગ
પાકિસ્તાનની શરમજનક હાર બાદ પૂર્વ કેપ્ટન શાહિદ અફ્રિદીએ એક ટીવી શો દરમિયાન પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે કોઈ પણ પ્રકારની સાડાબારી રાખ્યા વગર ટીમના ત્રણ સૌથી મોટા સ્તંભોને ટીમમાંથી હાંકી કાઢવાની વાત કરી છે. અફ્રિદીએ સ્પષ્ટ કહ્યું કે, “જો સત્તા મારા હાથમાં હોત, તો હું બાબર આઝમ, શાહીન આફ્રિદી અને શાદાબ ખાનને તાત્કાલિક ટીમમાંથી બહાર કરી દેત.” આ નિવેદન એટલા માટે ચોંકાવનારું છે કારણ કે શાહીન અફ્રિદી તેમનો જમાઈ છે, તેમ છતાં દેશહિતમાં તેમણે આકરી ટીકા કરી છે.
કેમ નિશાન પર આવ્યા આ ત્રણ દિગ્ગજો?
ભારત સામેની આ હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાનના આ ત્રણ મુખ્ય ખેલાડીઓનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું
- બાબર આઝમ (Babar Azam): ટીમના મુખ્ય બેટ્સમેન ગણાતા બાબર માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયા. જ્યારે ટીમને સૌથી વધુ જરૂર હતી, ત્યારે જ તેઓ દબાણ સામે ઝૂકી ગયા.
- શાહીન અફ્રિદી (Shaheen Afridi): જેની પાસે ભારતની શરૂઆતની વિકેટો ઝડપવાની અપેક્ષા હતી, તે શાહીન માત્ર 2 ઓવર ફેંકી શક્યો અને 31 રન લૂંટાવી દીધા. તેના સ્પેલમાં કોઈ ધાર જોવા મળી નહોતી.
- શાદાબ ખાન (Shadab Khan): ઓલરાઉન્ડર તરીકે શાદાબ સંપૂર્ણ નિષ્ફળ રહ્યો. તેણે 1 ઓવરમાં 17 રન આપ્યા અને બેટિંગમાં પણ માત્ર 14 રનનું યોગદાન આપી શક્યો.
પાકિસ્તાની ટીમમાં ભંગાણના સંકેતો
અફ્રિદીએ વધુમાં ઉમેર્યું કે આ ખેલાડીઓ લાંબા સમયથી ટીમને વળગી રહ્યા છે, પરંતુ પરિણામ શૂન્ય છે. હવે નવા લોહીને તક આપવાનો સમય આવી ગયો છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. ઘણા લોકો અફ્રિદીની હિંમતને દાદ આપી રહ્યા છે, તો કેટલાક તેને ટીમનું મનોબળ તોડનારું નિવેદન ગણાવી રહ્યા છે.
Shahid Afridi suggests dropping Shaheen, Babar, and Shadab, saying their seniority isn’t yielding results. He recommends giving opportunities to juniors, especially against Namibia, to see what they can do.#PAKvIND #T20WorldCup pic.twitter.com/kB3iGzoax7
— TEAM AFRIDI (@TEAM_AFRIDI) February 15, 2026
હવે પાકિસ્તાનનું શું?
ભારત સામેની આ હાર બાદ પાકિસ્તાન પર વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ટીમ મેનેજમેન્ટ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પર ભારે દબાણ છે. જો આગામી દિવસોમાં આ સિનિયર ખેલાડીઓને પડતા મૂકવામાં આવે, તો નવાઈ નહીં. ભારત સામેની હાર માત્ર એક મેચની હાર નથી, પણ પાકિસ્તાની ક્રિકેટમાં મોટા પરિવર્તનની શરૂઆત સાબિત થઈ શકે છે.
