ઉચ્ચ પદ છતાં માનવીય સંબંધોની મહેક : ભાદરામાં સામાન્ય પરિવારના ઘરે રાજ્યપાલશ્રીનું આત્મીય ભોજન
જામનગર જિલ્લાના ભાદરા ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માનવીય અભિગમ અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ્યના પ્રથમ નાગરિક હોવા છતાં, કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ કે આડંબર વગર તેઓ ગામના એક સામાન્ય અનુસૂચિત જાતિના પરિવારના ઘરે મહેમાન બન્યા હતા. તેમણે શ્રી અનિલભાઈ જીવરાજભાઈ પરમારના નિવાસસ્થાને જઈને પરિવારના સભ્યો સાથે જમીન પર બેસીને અત્યંત સાદગીથી ભોજન ગ્રહણ કર્યું હતું.
સામાજિક એકતાનો સંદેશ: ઉચ્ચ હોદ્દાની ગરિમા અને માનવીય સંબંધોનો સંગમ
રાજ્યપાલશ્રીએ અનિલભાઈના ઘરે એક પરિવારના સભ્યની જેમ હળીમળીને વાતચીત કરી હતી. તેમણે ભોજન લેતા-લેતા પરિવારના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમની જીવનશૈલી વિશે જાણકારી મેળવી હતી. આ મુલાકાત માત્ર ભોજન પૂરતી મર્યાદિત ન રહેતા, સામાજિક સમાનતા અને એકતાનો મોટો સંદેશ સમાજમાં ફેલાવ્યો હતો. રાજ્યના સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોવા છતાં તેમની આ આત્મીયતા અને સાદગીએ સૌના દિલ જીતી લીધા હતા.
અવિસ્મરણીય પળ: અનિલભાઈના ઘરે મેથી-બટાટાનું શાક અને રોટલીનો આસ્વાદ
રાજ્યપાલશ્રીના આ પ્રેરક પગલાથી અનિલભાઈ પરમાર અને તેમનો પરિવાર ભાવવિભોર થઈ ગયો હતો. તેમણે હર્ષ સાથે જણાવ્યું હતું કે, તેમને ક્યારેય એવી કલ્પના પણ નહોતી કરી કે રાજ્યપાલ જેવી વ્યક્તિ તેમના આંગણે પધારશે. રાજ્યપાલશ્રીએ તેમના ઘરે બનેલું મેથી-બટાટાનું શાક, દાળ અને રોટલી જેવું સાદું ભોજન ખૂબ જ પ્રેમથી આરોગ્યું હતું. પરમાર પરિવાર માટે આ પ્રસંગ જીવનભરની એક અણમોલ અને યાદગાર ક્ષણ બની ગયો હતો.

