હાટ બજારમાં આયોજિત લોકજાગૃતિ કાર્યક્રમમાં ટીબીના લક્ષણો, મફત સારવાર અને સંપૂર્ણ કોર્સના મહત્વ અંગે સમજણ
દાહોદ તાલુકામાં ‘વર્લ્ડ ટીબી ડે’ નિમિત્તે લોકોમાં જાગૃતિ લાવવા માટે ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર. ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ દાહોદના વ્યસ્ત પડાવ હાટ બજાર ખાતે યોજાયો હતો. પરંપરાગત ભવાઈના માધ્યમથી લોકોનું મનોરંજન કરવાની સાથે સાથે સ્વાસ્થ્ય પ્રત્યેની જવાબદારી સમજાવવાનો આ એક નવતર પ્રયોગ હતો.
મનોરંજન સાથે ટીબીના લક્ષણો અને સારવારની સમજ
આ કાર્યક્રમમાં કલાકારોએ ભવાઈના વેશ દ્વારા ટીબી રોગ કેવી રીતે ફેલાય છે અને તેના મુખ્ય લક્ષણો કયા છે તે વિશે ખૂબ જ સરળ ભાષામાં માહિતી આપી હતી. લોકોને સમજાવવામાં આવ્યું કે જો લાંબા સમય સુધી ઉધરસ રહે, સતત તાવ આવે કે વજન ઘટવા લાગે, તો તરત જ નજીકની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવવી જોઈએ. સરકારી સંસ્થાઓમાં ટીબીની તપાસ અને સંપૂર્ણ સારવાર બિલકુલ મફત ઉપલબ્ધ છે અને કોર્સ પૂરો કરવાથી આ રોગ મટી શકે છે.
સમાજમાંથી ટીબી પ્રત્યેનો ડર અને ભ્રમ દૂર કરવા અપીલ
ટીબીના દર્દીઓ પ્રત્યે સમાજમાં જે ડર કે ભેદભાવ જોવા મળે છે, તેને દૂર કરવા પર આ કાર્યક્રમમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ભવાઈ દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે ટીબી કોઈ લા ઈલાજ રોગ નથી, પરંતુ સમયસરની દવાથી તે સંપૂર્ણ સાજો થઈ શકે છે. હાટ બજારમાં આવેલા મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો અને આરોગ્ય વિભાગના આ પ્રયાસને બિરદાવ્યો હતો.
આરોગ્ય સ્ટાફ અને સ્થાનિક લોકોની ઉત્સાહભેર હાજરી
આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયા સહિત આરોગ્ય વિભાગના સુપરવાઈઝર અને અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. હાટમાં ખરીદી કરવા આવેલા ગ્રામીણ અને શહેરી નાગરિકોએ ભવાઈના પાત્રો દ્વારા અપાતી માહિતીને રસપૂર્વક સાંભળી હતી. આ પ્રકારના લોકસાહિત્યના કાર્યક્રમોથી આરોગ્યલક્ષી સંદેશાઓ છેવાડાના માનવી સુધી વધુ અસરકારક રીતે પહોંચી શકે છે.

