‘પાકિસ્તાનનું ફંડ તરત રોકો’: બ્રિટનના 5 સાંસદોની માંગ, ઇમરાન ખાન મુદ્દે બ્રિટિશ સંસદમાં જોરદાર ચર્ચા
પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થનમાં હવે બ્રિટિશ સંસદમાં અવાજ ઉઠ્યો છે. ઓછામાં ઓછા 5 વરિષ્ઠ સાંસદોએ કીર સ્ટાર્મર સરકાર સમક્ષ પાકિસ્તાનમાં લોકશાહીની હત્યા અને માનવાધિકારના ઉલ્લંઘન અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ સાંસદોએ માંગ કરી છે કે જો પાકિસ્તાન લોકશાહીના મૂલ્યોનું સન્માન ન કરતું હોય, તો તેને આપવામાં આવતી નાણાકીય સહાયમાં તાત્કાલિક કાપ મૂકવો જોઈએ.
લોકશાહીની હત્યા પર બ્રિટિશ સાંસદો નારાજ
બ્રિટિશ સંસદમાં ચર્ચાની શરૂઆત કરતા સાંસદ જેક ગોલ્ડસ્મિથે જણાવ્યું હતું કે પાકિસ્તાન કોમનવેલ્થ દેશ છે અને બ્રિટનમાં 15 લાખથી વધુ પાકિસ્તાની મૂળના લોકો રહે છે. તેમણે સરકારને ઘેરતા પૂછ્યું કે, “પાકિસ્તાનમાં જે રીતે પૂર્વ વડાપ્રધાન સાથે વ્યવહાર થઈ રહ્યો છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવતા નથી, તે સ્થિતિમાં આપણે આંખ આડા કાન કરી શકીએ નહીં. લોકશાહી વગરના દેશને આપણે આટલું મોટું ફંડ શા માટે આપીએ છીએ?”
પાકિસ્તાનના ફંડમાં કાપ મૂકવા સરકારની તૈયારી
સાંસદોના આકરા સવાલોના જવાબમાં બ્રિટિશ સરકારે સંકેત આપ્યો છે કે તેઓ પાકિસ્તાનને અપાતા ફંડમાં વધુ ઘટાડો કરવાનું વિચારી શકે છે. સરકારી મંત્રીએ જણાવ્યું કે, “અમે ફંડ સંપૂર્ણપણે બંધ ન કરી શકીએ, પરંતુ તેમાં કાપ મૂકવા અંગે વિચારણા જરૂર કરી શકીએ છીએ.” ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં પાકિસ્તાનને 133 મિલિયન યુરો ફંડ આપવામાં આવ્યું હતું, જે 2025-26માં ઘટાડીને 103 મિલિયન યુરો કરી દેવામાં આવ્યું છે.
ઇમરાન ખાનને જેલમાં રાખવા પાછળનું રાજકારણ
સાંસદ હેનન અને સિક્કાએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ઇમરાન ખાનને જેલમાં રાખવાનું એકમાત્ર કારણ એ છે કે તેઓ બહાર આવીને ચૂંટણી ન જીતી જાય. તેમણે ઈરાન અને ઉત્તર કોરિયા જેવા દેશોનું ઉદાહરણ આપીને પૂછ્યું કે, “જ્યારે અન્ય દેશોમાં દમન થાય છે ત્યારે બ્રિટન અવાજ ઉઠાવે છે, તો પાકિસ્તાનના કિસ્સામાં આપણે મૌન કેમ છીએ?”
ઇમરાન ખાનની કથળતી તબિયત અને સમર્થકોની ચિંતા
બ્રિટિશ સંસદમાં આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની તબિયત નાજુક હોવાના અહેવાલો છે. તેમના સમર્થકો સતત તેમને જેલમાંથી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી રહ્યા છે. બ્રિટિશ સાંસદોએ સ્પષ્ટ કર્યું છે કે માનવીય દ્રષ્ટિકોણથી ઇમરાન ખાનને યોગ્ય સારવાર મળવી જોઈએ અને પાકિસ્તાન પર રાજદ્વારી દબાણ બનાવવું જરૂરી છે.

