પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત, યુદ્ધ તાત્કાલિક રોકવા કરી અપીલ
મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ)માં વધી રહેલા ભયાનક સંઘર્ષ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ વાતચીત દરમિયાન પુતિને ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે ભાર મૂક્યો હતો.
પુતિને મધ્ય-પૂર્વમાં જારી સંઘર્ષને તાત્કાલિક સમાપ્ત કરવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, બળપ્રયોગનો રસ્તો છોડીને તમામ પક્ષોએ રાજદ્વારી (ડિપ્લોમેટિક) ઉકેલની દિશામાં આગળ વધવું જોઈએ. રશિયાએ હંમેશા બળપ્રયોગના ઉપયોગને નકારીને વાતચીત દ્વારા સમસ્યાના સમાધાનની તરફેણ કરી છે.
ઈરાને રશિયાના સમર્થન બદલ માન્યો આભાર
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયનએ મુશ્કેલ સમયમાં ઈરાની જનતા પ્રત્યે રશિયાએ દર્શાવેલી એકતા અને સમર્થન બદલ પુતિનનો આભાર માન્યો હતો. પેઝેશકિયનએ જણાવ્યું હતું કે, જ્યારે ઈરાન પોતાની સાર્વભૌમત્વ અને આઝાદીની રક્ષા કરી રહ્યું છે, ત્યારે રશિયા જેવું મિત્ર રાષ્ટ્ર તેની સાથે ઉભું છે તે ગર્વની વાત છે.
આ વાતચીત દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિએ સંઘર્ષ સાથે જોડાયેલી તાજેતરની ઘટનાઓ અને સૈન્ય ગતિવિધિઓની વિગતવાર માહિતી પણ પુતિન સાથે શેર કરી હતી. રશિયન વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે અલગ-અલગ માધ્યમો દ્વારા સતત સંપર્ક જાળવી રાખવા પર સહમતિ બની છે.
ઈઝરાયેલના ઈરાન પર ભયાનક હવાઈ હુમલા
બીજી તરફ, વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી રહી છે. ઈઝરાયેલની સેનાએ તાજેતરમાં જ જાહેર કરેલા નિવેદન મુજબ, તેણે ઈરાનના તેહરાન અને ઈસ્ફહાન શહેરો પર હવાઈ હુમલાની નવી લહેર શરૂ કરી છે. IDF (ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ) એ દાવો કર્યો છે કે તેમણે તેહરાન અને ઈસ્ફહાનમાં ઈરાની શાસનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે હુમલા કર્યા છે.
ઈઝરાયેલના સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ લગભગ 80 ફાઈટર જેટ્સ દ્વારા મધ્ય ઈરાન અને તેહરાનને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા. ઈઝરાયેલના આ આક્રમક વલણને કારણે મધ્ય-પૂર્વમાં મોટા પાયે યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
શાંતિ માટે રશિયાના પ્રયાસો
રાષ્ટ્રપતિ પુતિને માહિતી આપી હતી કે તેઓ માત્ર ઈરાન જ નહીં, પરંતુ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના સભ્ય દેશોના નેતાઓ સાથે પણ સતત સંપર્કમાં છે. રશિયાનો મુખ્ય ઉદેશ્ય દુશ્મનીનો તાત્કાલિક અંત લાવીને ડિપ્લોમેટિક સમાધાનના રસ્તે પાછા ફરવાનો છે, જેથી વધુ જાનહાનિ અને વિનાશને રોકી શકાય.

