ખેડૂતોની વાંધા અરજીઓનો પારદર્શક અને ઝડપી નિકાલ માટે ભૂમિ સીમાંકન પ્રક્રિયામાં નવી વ્યવસ્થા
ગુજરાતના ખેડૂતોના હિતોની રક્ષા અને જમીન મહેસુલ વહીવટમાં પારદર્શિતા લાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં જમીન માપણી (Promulgation) બાદ રહી ગયેલી ક્ષતિઓના નિકાલ માટે મુખ્યમંત્રીશ્રીએ મહેસુલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ‘ભૂમિ સીમાંકન’ માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતોને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાવવી અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (Ease of Doing Business) ને વેગ આપવાનો છે.
જિલ્લા સ્તરીય ‘ભૂમિ સીમાંકન સમિતિ’ની રચના
જમીન માપણીના જટિલ પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે દરેક જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિ કાર્યરત કરવામાં આવશે. આ સમિતિમાં નીચે મુજબના અધિકારીઓનો સમાવેશ થશે:
-
અધ્યક્ષ: જિલ્લા કલેક્ટર
-
સભ્યો: નિવાસી અધિક કલેક્ટર, SLR/નાયબ નિયામક જમીન દફતર, પ્રાંત અધિકારી, DILR, મામલતદાર, TDO અને જમીન સંપાદન અધિકારી.
આ સમિતિ જિલ્લામાં ભૂમિ સીમાંકનની કામગીરીની સતત સમીક્ષા કરશે અને પેન્ડિંગ અરજીઓનો પારદર્શક રીતે નિકાલ સુનિશ્ચિત કરશે.
ક્ષતિ સુધારણા માટે ૭ નવી કેટેગરી નક્કી કરવામાં આવી
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મહેસુલ વિભાગે માપણીની ક્ષતિઓને સાત અલગ-અલગ કેટેગરીમાં વહેંચી છે, જેથી દરેક પ્રકારના પ્રશ્નનો ચોક્કસ ઉકેલ લાવી શકાય:
-
સરકારી જમીનમાં ઘટાડો ન થયો હોય અને કોઈ વાંધો ન હોય.
-
જાહેર હિતની જમીન સુરક્ષિત હોય અને કોઈ ખાતેદારને પણ વાંધો ન હોય.
-
સરકારી જમીન સુરક્ષિત હોય પરંતુ વાંધા અરજીઓ પેન્ડિંગ હોય.
-
(3A): સરકારી જમીનમાં ઘટાડો થયો હોય અને અરજીઓ પેન્ડિંગ હોય.
-
-
ગામના ૩૦% થી વધુ સરવે નંબરોમાં કબ્જા ફેરફાર (અવલ-દવલ) હોય.
-
વાંધાઓ ગામના કોઈ એક ચોક્કસ વિસ્તાર પૂરતા મર્યાદિત હોય.
-
૩૦% થી વધુ નંબરોમાં ક્ષેત્રફળ ફેરફાર, આકૃતિમાં ફેરફાર કે ‘કાસ્કેડિંગ ઇફેક્ટ’ હોય.
-
જ્યાં હજુ સુધી પ્રમોલગેશન (માપણીની અમલવારી) થયું જ ન હોય.
‘મોબાઇલ મેજિસ્ટ્રેટ કોર્ટ’ દ્વારા સ્થળ પર જ નિકાલ
ખેડૂતોને પોતાના પ્રશ્નો માટે સરકારી કચેરીએ જવું ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રીએ ‘મોબાઇલ મેજિસ્ટ્રેટ કોર્ટ’ (સ્થળ પર કાર્યરત સમિતિ) નો નવતર અભિગમ અપનાવ્યો છે. તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારોને વધુ સત્તા આપીને, ગુજરાત જમીન મહેસુલ અધિનિયમની કલમ ૧૧૯, ૧૨૦ અને મહેસુલ નિયમ ૧૯૭૨ મુજબ સ્થળ પર જ તપાસ કરી ન્યાયિક રીતે નિરાકરણ લાવવા સૂચના આપી છે.
આ નિર્ણયથી રાજ્યભરમાં જમીન માપણીના પ્રશ્નોમાં એકસમાનતા આવશે અને વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી, સચોટ અને ખેડૂતલક્ષી બનશે.

