તિથલ રોડ પર શરૂ થયું પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર, ખેડૂતોને યોગ્ય ભાવ અને લોકોને તાજો પૌષ્ટિક ખોરાક
સ્વાસ્થ્ય માટે હિતકારી એવી પ્રાકૃતિક ખેતીની પેદાશો વલસાડ શહેરના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે ગુજરાત સરકારના ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા એક વિશેષ બજાર શરૂ કરવામાં આવ્યું છે. પારડી બાદ હવે વલસાડ તાલુકામાં પણ તિથલ રોડ પર જિલ્લા વિકાસ અધિકારીના બંગલાની સામે આ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર કાર્યરત કરાયું છે. અહીં કેમિકલ અને રાસાયણિક ખાતર વગર તૈયાર થયેલી શુદ્ધ શાકભાજીનું સીધું વેચાણ કરવામાં આવે છે, જેનાથી શહેરના નાગરિકોને ઝેરમુક્ત આહાર મળી રહ્યો છે.
સપ્તાહમાં બે દિવસ તાજી શાકભાજીની સુવિધા
વલસાડની જનતાને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી આ માર્કેટ દર સોમવાર અને ગુરુવારે સવારે ભરવામાં આવે છે. વલસાડ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો વહેલી સવારે પોતાની તાજી ખેત પેદાશો લઈને અહીં આવે છે. ગ્રાહકોને અહીં માત્ર શાકભાજી જ નહીં, પરંતુ પ્રાકૃતિક રીતે પકવેલા ફળો, કઠોળ અને અનાજ પણ મળી રહે છે. સરકારની આ પહેલને કારણે લોકોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ વધી છે અને ગ્રાહકો હોંશેહોંશે આ ખેત પેદાશોની ખરીદી કરી રહ્યા છે.
ખેડૂતો માટે આર્થિક ઉન્નતિનો માર્ગ
આ વ્યવસ્થાથી ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થઈ રહ્યો છે. પહેલા ખેડૂતોએ પોતાની ઉપજ વેચવા માટે વેપારીઓ પર નિર્ભર રહેવું પડતું હતું, જ્યાં ઘણીવાર પૂરતા ભાવ મળતા નહોતા. હવે ગ્રાહકો સાથે સીધું જોડાણ થતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહ્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, સવારે માત્ર બે-અઢી કલાકના ગાળામાં જ ૮૦૦ થી ૧૪૦૦ રૂપિયા સુધીનું વેચાણ થઈ જાય છે. સરકારના આ પ્રોજેક્ટથી ખેડૂતોની મહેનતનું સીધું વળતર તેમના હાથમાં આવી રહ્યું છે.
નિરોગી જીવન માટે જનઆંદોલન સમાન અભિયાન
રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને એક મિશન તરીકે અપનાવીને તેને જનઆંદોલનનું સ્વરૂપ આપ્યું છે. વલસાડના સ્થાનિક ગ્રાહકોના મતે, જો દરેક તાલુકા મથકે આવા હાટ બજાર શરૂ કરવામાં આવે તો વધુ લોકો નિરોગી જીવન જીવી શકશે અને ખેડૂતો પણ સમૃદ્ધ બનશે. આ સુવિધાને કારણે લોકોને ૧૦૦ ટકા ગેરંટી સાથે શુદ્ધ ચીજવસ્તુઓ મળી રહી છે. આમ, ખેડૂત અને ગ્રાહક બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયેલી આ યોજના વલસાડના જનસ્વાસ્થ્ય માટે એક મહત્વનું કદમ સાબિત થઈ છે.

