મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગ્રામ વિકાસ વિભાગના બજેટમાં રૂ. ૭૭૯ કરોડનો વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી ઉત્કર્ષ માટે વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં રૂ. ૫,૪૭૯ કરોડની જોગવાઈ કરી છે. ગત વર્ષની સરખામણીએ બજેટમાં રૂ. ૭૭૯ કરોડનો વધારો સૂચવે છે કે સરકાર ગામડાઓના માળખાકીય વિકાસ અને આજીવિકાના સાધનોને મજબૂત કરવા માટે મક્કમ છે. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ જનતાના જીવનસ્તરને ઊંચું લાવવાનો અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરના ઘરનું સપનું સાકાર
ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ પરિવારોને પોતાનું પાકું મકાન મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રૂ. ૧,૭૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ વખતે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં રૂફ કાસ્ટ લેવલ પર પહોંચેલા ૧૮,૦૦૦ લાભાર્થીઓને વધારાની રૂ. ૫૦,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવશે. આદિજાતિ લાભાર્થીઓને રૂ. ૨.૭૨ લાખ અને બિન-આદિજાતિ લાભાર્થીઓને રૂ. ૨.૩૨ લાખ સુધીની કુલ સહાય મળવાપાત્ર થશે, જેથી ગ્રામીણ આવાસ નિર્માણને વેગ મળશે.
સ્વચ્છ ભારત મિશન અને મનરેગા દ્વારા રોજગારીની ખાતરી
ગામડાઓમાં સ્વચ્છતા જાળવવા માટે સ્વચ્છ ભારત મિશન હેઠળ રૂ. ૭૩૭ કરોડથી વધુની જોગવાઈ કરાઈ છે, જેમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે નવી ‘પ્રવાહી કચરા વ્યવસ્થાપન પ્રણાલી’ દાખલ કરવામાં આવશે. બીજી તરફ, મનરેગા યોજનાને વધુ મજબૂત બનાવતા સરકારે હવે ૧૦૦ દિવસના બદલે ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી આપી છે. જો નિર્ધારિત સમયમાં રોજગાર ન મળે તો બેરોજગારી ભથ્થું ચૂકવવાની પણ ખાતરી આપવામાં આવી છે, જેના માટે રૂ. ૧,૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
મહિલા સશક્તિકરણ અને ‘લખપતિ દીદી’ પ્રોજેક્ટને પ્રોત્સાહન
મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ‘લખપતિ દીદી સશક્તિકરણ યોજના’ હેઠળ રૂ. ૪૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ યોજના દ્વારા ૧૦,૦૦૦ અનુભવી મહિલાઓને તેમના વ્યવસાયના વિસ્તરણ અને પેકેજિંગ માટે સહાય આપવામાં આવશે. સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે પ્રવાસન સ્થળો અને શહેરોમાં ‘ગ્રામ હાટ’ બનાવવામાં આવશે. ઉપરાંત, તેમની પ્રોડક્ટ્સને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચાણ માટે પણ રૂ. ૨૫ કરોડની મદદથી માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવશે.

