ઈરાન-અમેરિકા યુદ્ધ: અમેરિકાએ સ્વીકાર્યું સૈન્ય નુકસાન; ૧૩ સૈનિકોના મોત અને ૨૦૦ ઘાયલ, મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ
મધ્ય પૂર્વમાં ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ હવે રવિવારના ૨૦ દિવસ પૂર્ણ કરી ચૂક્યું છે. આ દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચેના સીધા સંઘર્ષમાં પ્રથમ વખત અમેરિકાએ પોતાની જાનહાનિનો સત્તાવાર સ્વીકાર કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના પ્રવક્તા ટિમ હોકિન્સે સોમવારે મોડી રાત્રે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ઈરાન સાથેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૧૩ અમેરિકન સૈનિકોના મોત થયા છે અને ૨૦૦ જેટલા સૈનિકો ઘાયલ થયા છે.
અમેરિકી સૈન્યને ક્યાં થયું નુકસાન?
યુએસ મિલિટરીના જણાવ્યા અનુસાર, ઈરાને માત્ર ઇઝરાયલ જ નહીં પરંતુ આખા મધ્ય પૂર્વમાં ફેલાયેલા અમેરિકી સૈન્ય મથકો પર હુમલા તેજ કર્યા છે. બહેરીન, ઇરાક, જોર્ડન, કુવૈત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં આવેલા અમેરિકી બેઝ પર ઈરાને મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે.
૨૦૦ ઘાયલ સૈનિકોમાંથી ૧૮૦ સૈનિકોને મામૂલી ઈજાઓ પહોંચી હતી જેઓ સારવાર બાદ ફરજ પર પરત ફર્યા છે. જોકે, ૧૦ સૈનિકોની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈરાને અમેરિકાના લડાકુ વિમાનો અને રાજદ્વારી મિશનોને પણ નિશાન બનાવવાની કોશિશ કરી છે.
ઈરાન અને લેબનોનમાં સર્જાયેલી માનવીય ત્રાસદી
આ યુદ્ધમાં માત્ર સૈનિકો જ નહીં પરંતુ નિર્દોષ નાગરિકો પણ ભીંસાઈ રહ્યા છે. ઈરાનના આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ, ૮ માર્ચ સુધીમાં ઈરાનમાં ૧,૨૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં ૨૦૦ મહિલાઓ અને ૨૦૦ બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૦,૦૦૦ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સૌથી ખરાબ સ્થિતિ લેબનોનની છે, જ્યાં અત્યાર સુધીમાં ૮૮૬ લોકોના મોત થયા છે અને ૧૦ લાખથી વધુ લોકોને પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવો પડ્યો છે. ઇઝરાયલમાં પણ અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
ટ્રમ્પની આક્રમક રણનીતિ અને કરારની શૂન્ય આશા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નુકસાન બાદ ઈરાન સામે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા ‘ખાર્ગ ટાપુ’ (Kharg Island) પર હુમલા તેજ કરવાની ધમકી આપી છે. ખાર્ગ ટાપુ ઈરાનનું મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર છે, જેના પર હુમલો થવાથી ઈરાનની અર્થતંત્રની કમર તૂટી શકે છે.
હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ પણ પ્રકારના કરાર કે શાંતિ વાટાઘાટોની શક્યતા દેખાતી નથી. અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની લશ્કરી હાજરી વધારવા માટે વધારાના નૌકાદળ દળો અને અત્યાધુનિક યુદ્ધ જહાજોની તૈનાતી શરૂ કરી દીધી છે.
આ યુદ્ધ હવે માત્ર બે દેશો વચ્ચે સીમિત ન રહેતા વૈશ્વિક આર્થિક કટોકટી અને ત્રીજા વિશ્વયુદ્ધના ભય તરફ આગળ વધી રહ્યું છે. જો આગામી દિવસોમાં હુમલા ન રોકાયા તો જાનહાનિના આ આંકડાઓ કલ્પના બહાર જઈ શકે છે.

