હેરિટેજ ચેઇન દ્વારા જામનગરના ભુજિયા કોઠા, લાખોટા મ્યુઝિયમ અને ખંભાળીયા ગેટને જોડવાની મહત્વાકાંક્ષી યોજના
જામનગરની શાન ગણાતો ઐતિહાસિક ‘ભુજિયા કોઠો’ ૧૯ માર્ચ ૨૦૨૬થી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતો આ કોઠો જામનગરના ભવ્ય ઇતિહાસનું પ્રતીક છે. વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં આ ઇમારતને ઘણું નુકસાન થયું હતું, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે તેના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે ૨૫ કરોડના ખર્ચે આ ઐતિહાસિક વારસાને તેના મૂળ ગૌરવ સાથે ફરીથી પ્રસ્થાપિત કરવામાં સફળતા મળી છે.
પુરાતત્વીય પદ્ધતિ અને કુદરતી સામગ્રીથી રિસ્ટોરેશન
ભુજિયા કોઠાનું નિર્માણ ૧૮૩૯ થી ૧૮૫૨ દરમિયાન સુરક્ષા અને સંદેશાવ્યવહારના હેતુથી કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઇમારતને તેના અસલ સ્વરૂપમાં લાવવા માટે રિસ્ટોરેશન કાર્યમાં આધુનિક સિમેન્ટને બદલે સદીઓ જૂની પરંપરાગત સામગ્રીનો ઉપયોગ કરાયો છે. જેમાં ચૂનો, ગુગળ, મુલતાની માટી, અરીઠા, ગોખરુ અને સિંદૂર જેવી કુદરતી ચીજોનો સમાવેશ થાય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના માર્ગદર્શન હેઠળ કલાત્મક બારીઓ, ઝરૂખા અને રંગમંડપને અત્યંત કાળજીપૂર્વક કંડારવામાં આવ્યા છે.
હેરિટેજ ચેઇન દ્વારા જામનગરના પ્રવાસનનો વિકાસ
જામનગરના ઐતિહાસિક સ્થળોને એકસૂત્રે બાંધવા માટે ખાસ ‘હેરિટેજ ચેઇન’ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ખંભાળિયા ગેટ, ભુજિયો કોઠો અને રણમલ તળાવની મધ્યમાં આવેલા લાખોટા મ્યુઝિયમને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં પ્રવાસીઓ આ ત્રણેય ઐતિહાસિક સ્થળોની મુલાકાત એક જ એન્ટ્રી પોઈન્ટથી લઈ શકશે. આ ફેઝ-૨ ની કામગીરી હાલ પ્રગતિમાં છે, જે પૂર્ણ થતા જામનગરનું પ્રવાસન ક્ષેત્ર વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે.
ઐતિહાસિક વારસાના જતન સાથે જનસુખાકારીનો સમન્વય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફેઝ-૧ ના લોકાર્પણ બાદ હવે આ સ્થળ જામનગરના નાગરિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ થયેલું આ કાર્ય માત્ર બાંધકામ નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ છે. ભુજિયા કોઠાની મુલાકાતથી નવી પેઢીને પોતાના ભવ્ય ભૂતકાળ અને સ્થાપત્ય કલા વિશે જાણકારી મળશે. જામનગરનો આ કાયાકલ્પ શહેરની સુંદરતામાં વધારો કરવાની સાથે સ્થાનિક રોજગારીની તકો પણ ઉભી કરશે.

